પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરીને 20 વર્ષની સજા સાથે રુપિયા બે લાખનો દંડ ફટકાર્યો
1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી
ગરવી તાકાત, પાલનપુર તા. 29 – : પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરીને 20 વર્ષની સજા સાથે રુપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે. પાલનપુરની સબજેલમાં બંધ સંજીવ ભટ્ટને ગઇકાલે પાલનપુરની સેસન્સ કોર્ટોમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે સંજીવ ભટ્ટ દોષિત જાહેર કર્યા હતા. જોકે, કોઇ સજા સંભળાવવામાં આવી નહોતી. ત્યારે આજે ફરીથી કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને રુપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.
શું હતો કેસ? – આ મામલે 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. 30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.
સંજીવ ભટ્ટ અને વિવાદો – સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો.
સંજીવ ભટ્ટે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા – સંજીવ ભટ્ટે 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતા ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે 2002નાં રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે.
2011માં સસ્પેન્ડ અને 2015માં ફરજમુક્ત – સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.