ગુજરાતમાં 5 વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારીની સાતે કામ કરનારા વિજય રૂપાણી અને નીતિન પટેલનો એકાંતવાસ ટૂંક સમયમાં પૂરો થઈ શકે છે. પાર્ટીના બંને નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતા ચૂંટણી લડ્યા ન હતા. બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તો નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.
નિતીનભાઇ પટેલના ચહેરા પર નારાજગીની લકીર દેખાઇ હતી પરંતુ પક્ષ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારી બખૂબી નિભાવી છે જે જોતાં પક્ષ દ્વારા આગામી 2024માં રાજ્યસભાની પસંદગીમાં નિતીનભાઇ પટેલને રાજય સભાના સાંસદ તરીકે પસંદગી થઇ શકે છે નહી તો 2024માં જ આવનાર લોકસભાની ચૂંટણીમાં પણ મહેસાણા બેઠક પર તો નિતીન પટેલ નિશ્ચિત જ મનાય છે.
ગુજરાતમાં રાજ્યસભાની 11માંથી 8 સીટ ભાજપ પાસે:
ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે. જેમાંથી 8 ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠક છે. બીજેપીની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. સંભાવના છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરીથી ગુજરાતમાંથી રાજ્યસભા જશે. જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર છે. વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્યમંત્રીની સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પહેલીવાર રાજ્યસભા પહોંચશે.


