આ યાત્રા મોરબીથી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરથી અમદાવાદથી ગાંધીનગર પહોંચશે
નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે. આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે.
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – આજે મોરબીથી કોંગ્રેસની ગુજરાત ન્યાય પદયાત્રા શરૂ થઇ છે. મોરબીના ઝૂલતા પુલના દરબાર ગઢ પાસેથી આ યાત્રા કાઢવામાં આવી હતી. સરકારના વિરોધમાં કોંગ્રેસની આ મોટી યાત્રા નીકળી હતી. આ યાત્રા મોરબીથી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરથી અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાશે. કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલ બગડ્યા અને ન્યાય યાત્રા મુદ્દે કૉંગ્રેસને આડે હાથ લીધી. આમ, કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ગુજરાતમાં રાજકારણ શરૂ થઈ ગયુ.
નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે. આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે. મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. રેલીનો કોંગ્રેસે જે હેતુ રાખ્યો છે તે અપ્રાસંગિક છે. જે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવે તેવી શક્યતા
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતની 26 પૈકી બનાસકાંઠા રૂપ એક બેઠક જીતીને પણ ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી. ત્યાર બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં ફરી પ્રાણ ફૂંકવા માંગે છે. તેથી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરીને મોરબી, રોજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા યોજવાની તૈયારી કરી દેવાઈ છે. કોંગ્રેસના પ્રદેશના મોવડી મંડળે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ યાત્રામાં જોડાવા માટે ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.


