પાલિકામાં શાસન સમાપ્ત થવા છતાં પૂર્વ શાસકોને હોદ્દાઓનો મોહ છૂટતો નથી !
પાલનપુર નગર પાલિકામાં શાસકોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં વહીવટદાર શાસન આવ્યું છે. તેમ છતાં પાલીકામાં પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ સહિત મોભાદાર કમિટીના ચેરમેનોની ચેમ્બરો આગળ તેમના નામ અને હોદ્દા વાળી નંબર પ્લેટો લાગેલી હોઈ લોકોમાં કચવાટ ફેલાયો છે. પાલિકામાં લાગેલા પૂર્વ શાસકોના બોર્ડ દૂર કરવાની માંગ ઉઠી છે.


નગર પાલિકાની વિવિધ ચેમ્બર બહાર પૂર્વ શાસકોમાં નામ- હોદ્દા દૂર કરવા માંગ
પાલનપુર નગર પાલિકાના શાસકોની મુદત તા.14 ડિસેમ્બર 2020 ના રોજ પૂર્ણ થઈ જતા તા.15 ડિસેમ્બર 2020 થી વહીવટદાર શાસન લાગુ થયું છે. તેમ છતાં જાણે પાલીકામાં ભાજપનું શાસન ચાલુ હોય તેમ મુદત પૂર્ણ થયેલા ભાજપના પૂર્વ શાસકોની ચેમ્બરો આગળ પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ સહિત ચેરમેનોના નામ અને હોદ્દા વાળી પ્લેટો લાગેલી છે. તેમજ શહેરના રાજમાર્ગો પર પણ ઠેરઠેર પાલિકાના પૂર્વ શાસકોના ચાલુ હોદ્દા વાળા હોર્ડિંગ લાગેલા છે. જે જોતા પાલનપુર પાલિકાના પૂર્વ શાસકોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ જાણે તેમને હોદ્દાનો મોહ છૂટતો જ ન હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે પાલિકામાં નિમાયેલા વહીવટદાર ક્રમ ચીફ ઓફિસર સતીષ પટેલ લોક લાગણીને માન આપીને નગરપાલિકામાં લાગેલ પૂર્વ શાસકોની નેઇમ પ્લેટો અને લોકોને ગેરમાર્ગે દોરતા શહેરમાં લાગેલા મસમોટા હોર્ડિંગ તાત્કાલીક ધોરણે દૂર કરાવે તેવી લોક માંગ ઉઠી છે.