-> સરહદી વિસ્તારની કેનાલોમાં ઠેર ઠેર સફાઈનો અભાવ, છેવાડાના ખેડૂતોને પાણી નહી મળતા ત્રસ્ત
ગરવી તાકાત બનાસકાંઠા : સરહદી વિસ્તારમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો પરેશાન છે. કેનાલોમાં સફાઈના અભાવે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી, જેના કારણે ખેડૂતો જાતે જ કેનાલો સાફ કરવા મજબૂર બન્યા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વાવ તાલુકાના એટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી રામપુરા માઈનોર કેનાલ-૧ ની સફાઈ ગુરુવારે ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ તંત્રનું કામ જાતે જ ઉપાડી લેતા આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ખેડૂતો રમેશભાઈ પારેગી અને પૂંજાભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે કેનાલની સફાઈ કરવામાં આવી હોવા છતાં,

એક ચોક્કસ વિસ્તારમાં માટી અને કાંપ જમા થવાથી કેનાલ સંપૂર્ણપણે બુરાઈ ગઈ છે. ભર શિયાળે સિંચાઈનું પાણી ન મળતા ખેતરોમાં પાક મુરઝાઈ રહ્યો છે.આ રામપુરા-૧ (માઇનોર વાઇક) કેનાલ વાવ તાલુકાના રામપુરા ગામમાં આવેલી છે. તેને વેજલપુર બ્રાન્ચમાંથી પાણી મળે છે અને તે એટા ડિસ્ટ્રીબ્યુટરીમાંથી આવે છે. આ માઇનોર કેનાલનો લાભ એટા, રામપુરા, કલ્યાણપુરા અને લાલપુરા સહિત ચાર ગામોની સીમમાં પહોંચાડવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા મોટાભાગની કેનાલની સફાઈ કરવામાં આવી હોવા છતાં, એક જગ્યાએ સમસ્યા યથાવત છે.

મહારાજના ખેતર પાસે આવેલા તબેલા નજીક કેનાલનું સ્તર આજુબાજુના ખેતર કરતાં નીચું હોવાથી, ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી વહી આવતું પાણી અને માટી દર વર્ષે જમા થઈ જાય છે, જેના કારણે કેનાલ સંપૂર્ણ ભરાઈ જાય છે. આ સ્થળે જેસીબી મશીન પણ પહોંચી શકતું ન હોવાથી, આ ભાગની સફાઈ અધૂરી રહી જાય છે.સ્થાનિક ખેડૂતોએ સિંચાઈ વિભાગને વિનંતી કરી છે કે આ ચોક્કસ જગ્યા માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે. જેથી ચોમાસા પછી પણ કેનાલનો પ્રવાહ અવરોધાય નહીં અને તમામ ખેડૂતોને સમયસર પાણી મળી શકે તેવી માંગણી કરી હતી


