ગરવી તાકાત, ગીર તા. 18- એક તરફ ચક્રવાતી વરસાદ અને પવનને લીધે ચારસોથી વધારે પક્ષીઓ માર્યા ગયાના સમાચાર છે અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ ગાયબ થયાના સમાચારે ચિંતા જગાવી છે ત્યારે સૌરાષ્ટ્રના ગીરના જંગલોમાંથી રાહતના સમાચાર આવ્યા છે.
ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની જાનહાની થઈ નથી. ગુજરાત સરકારે ચક્રવાતના સંકટને ધ્યાનમાં લઈ એશિયાટિક સિંહો અને અન્ય વન્યજીવોના રક્ષણ માટે ગીર જંગલ અને કચ્છ જિલ્લામાં 200 થી વધુ ટીમો તૈનાત કરી હતી,
એમ એક અધિકારીએ જણાવ્યું હતું. એક ટીમે ગુરુવારે સાંજે ગીર પૂર્વ વિભાગની જસાધાર રેન્જમાં ખુલ્લા કૂવામાં પડી ગયેલા બે સિંહના બચ્ચાને બચાવી લીધા હતા, અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી 210 ટીમોમાંથી 184 ટીમોને ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ફોરેસ્ટ, ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તારમાંથી સિંહના વાવાઝોડાને લીધે મૃત્યુ થયાના સમાચાર નથી.
અધિકારીઓએ જણાવ્યું કે ગીરમાં લગભગ 1,000 વૃક્ષો ધરાશાયી થયા છે. ભાવનગરના ગ્રામજનોએ કિનારા પર આવી ગયેલા બે કાચબામાંથી એકને બચાવી લીધો હતો. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા એક કાચબાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘાયલને પાલિતાણા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.