જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા કક્ષાએ પોતાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસવડા સહિતના 13 સભ્યોની કમિટીની રચના કરી આ કમિટીની બેઠક દર માસે યોજાશે. કમિટીની રચના સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે કરવામાં આવે છે. જેથી કમિટીના તમામ સભ્યોએ પૂરતી સંવેદનશીલતા દાખવીને કામગીરી કરવા તાકીદ કરી મહેસાણા પ્રાંત અધિકારીને સભ્ય સચિવ અને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. દર મહિને મીટિંગ કરી તેની કાર્યવાહી નોંધ તૈયાર કરી ધાર્મિક દબાણ સંબંધે સરકાર દ્વારા માહિતી માંગવામાં આવે તેમ મોકલવાની સાથે ત્રિમાસીક અને સમયાંતરે મોકલવાની માહિતી પણ તમામ કચેરીઓ પાસેથી સંકલિત કરી વિભાગમાં મોકલી આ કમિટીનું તમામ રેકોર્ડ નિભાવવા માટેની તાકીદ પણ કરાઇ છે.
સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ જાહેર સ્થળો, રોડ-રસ્તા ઉપરનાં મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારા સહિતનાં ધર્મસ્થાનોનાં અનઅધિકૃત બાંધકામને દૂર કરવા, સ્થળાંતરિત કરવા, નિયમિત કરવા માટેનાં યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ધાર્મિક અતિક્રમણ અંગેની નીતિ પણ ઘડવામાં આવી છે અને તેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ, તમામ જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ એક કમિટીની રચના કરવાની હોઇ જિલ્લા કલેક્ટર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ કમિટીની રચના કરી કોર્પોરેશનની હદમાં આવેલા જાહેર સ્થળો, રોડ-રસ્તા ઉપરનાં ધાર્મિક અનઅધિકૃત બાંધકામ અંગે નિયમાનુસાર કાર્યવાહી કરી તે અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.


