છેલ્લાં કેટલાક વર્ષોથી વિદેશ જઈને દીકરીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે
વિદેશમાં લગ્ન કર્યા બાદ પસ્તાવાના કિસ્સા છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ વધ્યા છે
લગ્ન પહેલા તો મુરતિયા અને તેનો પરિવાર એકદમ સારો વહેવાર કરે છે. પરંતુ વિદેશ ગયા બાદ તેમના નાટકો શરૂ થાય છે
ગરવી તાકાત, તા. 12 – છેલ્લાં કેટલાક વર્ષોથી વિદેશ જઈને દીકરીઓને દુખ મળી રહ્યું છે. વિદેશમાં લગ્ન કર્યા બાદ પસ્તાવાના કિસ્સા છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ વધ્યા છે. લગ્ન પહેલા તો મુરતિયા અને તેનો પરિવાર એકદમ સારો વહેવાર કરે છે. પરંતુ વિદેશ ગયા બાદ તેમના નાટકો શરૂ થાય છે અને તેમના તેવર બદલાઈ જાય છે. વિદેશ ગયા બાદ દીકરીઓને માનસિક ટોર્ચર કરવાનું શરૂ કરાય છે. બાદમાં તેમને લાગે છે કે તેમનો આ નિર્ણય ખોટો હતો. વિદેશમાં ગયા બાદ યુવતીને ખબર પડે છે કે તેનો પતિ કામધંધો કરતા નથી, અથવા તો તેનો પતિ વ્યસની છે. વર્ષો બાદ દીકરી યાતનાઓ વેઠીને પાછી આવે છે. જેથી હવે પાટીદાર સમાજે કમર કસી છે.
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને બચાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. આ માટે વિદેશમાં સ્થાયી થયેલા સમાજના સભ્યોનો સંપર્ક કરીને ભારતમાં તેમની ટીમ બનાવાશે. જેમાં અપરિણીત યુવક-યુવતીઓની માહિતી રાખવામાં આવશે. ભારતમાં રહેતા પાટીદાર પરિવારોને વિદેશમાં રહેતા મુરતિયાની સચોટ માહિતી મળી રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે.
આ માટે એક કમિટી બનાવવામા આવશે. મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં માતાપિતાને દીકરીને વિદેશમાં પરણાવવાનું ઘેલું લાગ્યું છે. જેમાં બાદમાં પસ્તાવાનો વારો આવે છે. આવામાં ગત સપ્તાહે દક્ષિણ વિભાગ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા પસંદગી સંમેલમાં સમાજના વડીલોએ આ નિર્ણય લીધો છે.
આ ઉપરાંત સમાજના અગ્રણીઓએ સંમેલનમાં જણાવ્યુ હતું કે, પાટીદાર સમાજ ભૂલી ગયો છે કે, વ્યસન બરબાદી લાવે છે. લગ્ન-વરઘોડામાં દારૂના રવાડે ચઢીને ડીજેના તાલે નાચ થઈ રહ્યો છે. જેને રોકવા શ્રીમંત પાટીદાર વર્ગે પહેલ કરવી જોઈએ, જેથી સમાજમાં બદલાવ આવશે.