સમગ્ર રાજ્યભરમાંથી લોકો પ્રાર્થના સભામાં હાજર રહી હિરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા – નિતીન પટેલ
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓએ વડનગર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી
ગરવી તાકાત, મહેસાણા – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે સ્વ. હિરાબાની પ્રાર્થના સભા યોજાઇ હતી. જ્યાં મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી નેતા, મંત્રીઓ સહિત રાજકિય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ સહતિ રાજ્યભરમાંથી લોકો હાજર રહી હિરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રાર્થના સભામાં સોમભાઇ મોદી, પ્રહલાદભાઇ મોદી, વસંતીબેન સહિત તમામ પરિવારજનો હાજર રહી હિરાબાની આત્મા અજર અમર રહે તેવી પ્રાર્થના કરી હતી. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. ત્યારે વડનગરમાં રવિવારે હીરાબાનું બેસણું રાખવામાં આવ્યું હતું. વડનગરના જવાહર નવોદય હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. વડનગરમાં સવારથી જ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનનાં બહેન પરિવારજનોને મળી ભાવુક બન્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી, સોમાભાઈ તેમજ નરેન્દ્ર મોદીની બહેન વસંતીબેન સહિતનાઓ હીરાબાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે વડાપ્રધાનનાં બહેન વસંતીબેન પરિવારજનોને મળી ભાવુક બન્યાં હતાં.
ગુજરાતના પૂર્વ ના. મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, હીરાબાના અવસાન પછી એમના પરિવાર દ્વારા વડનગર ખાતે ધાર્મિક વિધિ અનુસાર પ્રાર્થના સભા યોજવામાં આવી રહી હતી. હીરાબાની સાદગી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે એમની જે ભાવના એના કારણે એમના પરિવારના સંબંધોના લીધે તેમજ તેમના દીકરા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એમનો પરિવારે જે રીતે સમગ્ર જીવન વડનગરને આપ્યું તેને ધ્યાનમાં રાખીને આ પ્રાર્થના સભામાં હજારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, આજુબાજુનાં ગામડામાંથી તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને રાજકીય નાગરિકો મોટી સંખ્યામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લોકો હીરાબાની પાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે. ત્યારે આ જ બતાવી રહ્યું છે કે હીરાબા પ્રત્યે સમગ્ર ગુજરાતના નાગરિકોને કેટલો બધો પ્રેમ હતો.

