સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીથી બચવા માટે કોરોના વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. ત્યારે ભારતમાં કોરોના વેક્સીનેશન 100 % થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો કે હજુસુધી પણ કેટલાક લોકો કે જેઓ કોરોના વેક્સીન નામથી ગભરાય છે અને રસી મુકાવવા તૈયાર નથી તેવા લોકોને પણ સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. પીએમ મોદીએ પણ ખુદ વેક્સિનના ડોઝ લઈ તેના સંબધીત દરેક આશંકાઓ દુર કરી હતી. પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક લોકો રસી લેવા તૈયાર નથી. પાલનપુર તાલુકાના માલણ ગામમાં પણ કોરોના વેક્સીન લેવા કેટલાક લોકો તૈયાર ન હતા તેવા 25 જેટલા લોકોને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકાર સ્વપ્નિલ ખરે જાતે ગામમાં આવીને ડોર ટુ ડોર ફરીને લોકોને સમજાવી અને રસી લેવા માટે તૈયાર કરી વેક્સીનેશન કરાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકાર અને માલણ પી.એચ.સી. નો મેડીકલ સ્ટાફે પણ જહેમત ઉઠાવી હતી.