-
મકાનનો નકુચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ઘટનાને અંજામ આપ્યો
-
રોકડ તેમજ દાગીના મળી કુલ 1.50 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ મકાનનો નકુચો તોડી તસ્કરો ઘરમાં ઘુસ્યા
ગરવી તાકાત મહેસાણા: મહેસાણામાં વડનગરના બાદરપુર ગામમાં એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રી દરમિયાન તસ્કરો મકાનમાં ઘૂસી કબાટમાં રહેલા 1 લાખથી વધુ રોકડ તેમજ સોના, ચાંદીના દાગીના મળી કુલ એક લાખ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હાલમાં વડનગર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાઈ છે.
વડનગરના બાદરપુર ખાતે વેપારીનો પરિવાર પોતાનું મકાન બંધ કરી સુરત ખાતે કામ અર્થે ગયો હતો. ત્યારે અજાણ્યા ઈસમોએ આ તકનો લાભ લઈ મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં બાદમાં અંદરના રૂમમમાં આવેલા કબાટમાંથી 1 લાખ 30 હજાર રોકડા અને સોનાની વીંટી, સોનાની ચુની આશરે 20 હજાર મળી કુલ 1 લાખ 50 હજારના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરી કરવા આવેલા ઈસમોએ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. ચોરી થઈ હોવાની જાણ બાજુમાં રહેતા પાડોસીએ વેપારીને કરી હતી, જેથી વેપારી સુરતથી પોતાના ગામ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે વડનગર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા


