ગરવી તાકાત અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન થયા. દેશની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દેશની એકમાત્ર હોસ્પિટલ બની છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલી 6 કિડની અને 3 લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.
બ્રેઇનડેડ ભાવીનભાઇ પરમાર, ભાવનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન પારેખના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે. 24 કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતી વધી છે. લોકોએ પોતે જ અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની જવાબદારી પોતાના શીરે સ્વીકારી રહ્યા છે.
એક જ દિવસમાં ત્રણ અંગદાન અંગે વાત કરીએ તો 19 વર્ષના મહેમદાવાદના રહેવાસી ભાવીનભાઇ પરમાર બ્રેઇનડેડ થતા તેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું. 65 વર્ષના જ્યોત્સનાબેન પારેખ કે જેઓ ગાંધીનગરમાં રહે છે. શારિરીક અસ્વસ્થતાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી. તેમના અંગોના રીટ્રાઇવલમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. ત્રીજા બ્રેઈનડેડ એવા વિરમગામમાં રહેતા 40 વર્ષના ભાવનાબેન ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. જેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલા અંગદાન અંગે વાત કરીએ તો 14 મહિનામાં 39 બ્રેઇનડેડ અંગદાતાઓના કરેલા અંગદાનથી 119 અંગો મળ્યા છે, જેમાં 33 લીવર, 59 કિડની, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 4 જોડ હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ તમામ અંગોએ 103 જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રની અવિસ્મરમીય સિદ્ધિ બદલ વીડિયો સંદેશના માધ્યમથી રાજ્યના ના કન્વીનર ડૉ. પ્રાજંલ મોદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખના અથાગ પરિશ્રમ અને કામગીરીને બિરદાવી હતી.