ભાદર, ખારી, સાબરમતી તથા અમદાવાદ ખાડી સૌથી વધુ પ્રદુષીત નિયતસ્તર કરતા અનેકગણી વધુ પ્રદુષિત
ગરવી તાકાત, અમદાવાદ તા. 25 – ગુજરાતમાં વિભાગનાં પ્રારંભે કેટલાંક ભાગોમાં પાણીનો દેકારો શરૂ થઈ ગયો છે. ત્યારે સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રદુષિત નદીઓ ગુજરાતમાં હોવાનો ચોંકાવનારો રીપોર્ટ જાહેર થયો છે. ભાદર, ખારી, સાબરમતી તથા અમદાવાદ ખાડી સૌથી વધુ પ્રદુષીત છે અને નિયતસ્તર કરતા અનેકગણી વધુ પ્રદુષિત છે.
કેન્દ્રના પર્યાવરણ વન અને કલાયમેટ ચેંજ વિભાગનાં રીપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ભારતમાં સૌથી વધુ પ્રદુષીત નદીઓ, ક્ષેત્રફળ ગુજરાતમાં છે.નદીઓનાં છ પટ 2018 થી 2022 માં સૌથી વધુ પ્રદુષિત માલુમ પડયા હતા અને પ્રાયોરીટી-1 નાં ખતરનાક સ્તરમાં મુકાયા હતા. દિશામાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ પ્રદુષીત નદીઓ ગુજરાતમાં હોવાનું કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે એકત્રીત કરેલા આંકડાઓ પરથી સુચવાયું છે. 
સાબરમતી, અમલાવાડી, ભાદર તથા ખારી એવી ચાર નદી ચાર વર્ષથી પ્રાયોરીટી-1 હેઠળ છે.તે પૈકી ભાદર, સાબરમતી તથા ખારીમાં નિયત પ્રતિ લીટર 3 મીલીગ્રામ બાયોલોજીકલ ઓકસીજન ડીમાંડની સામે અનુક્રમે 258.4, 292 તથા 195 ના ખતરનાક સ્તરે છે. આ ક્ષેત્રોમાં ભારે ઔદ્યોગીકકરણ વચ્ચે છોડાતુ ઉદ્યોગોનું પાણી નબળી વેસ્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જેવા કારણો નદી પ્રદુષણ માટે જવાબદાર છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળાનાં પ્રારંભ સાથેજ અનેક ભાગોમાં પાણીનો દેકારો શરૂ થયો છે તેવા સમયે જ આ ચોંકાવનારી રીપોર્ટ જારી થયો છે. આસપાસનાં ગામો-શહેરોના લોકો માટે આ નદીઓના પાણી જીવાદોરી બની શકે તેમ હોવા છતા પ્રદુષીત છે. સાબરમતીને લાગે વળગે છે ત્યાં સુધી રાયસન તથા ધોળકાના વૈઠાનો પટ પ્રદુષીત છે.
રસપ્રદ વાત એ છે કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ચાલુ સપ્તાહમાં જ ગુજરાત સરકારનો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં 2100 કરોડ આપવાનો આદેશ કર્યો હતો. રીપોર્ટમાં એમ જણાવાયું હતું કે દેશના 18 રાજયો કેન્દ્ર શાસીત પ્રદેશોમાં પ્રાયોરીટી ક્ષેત્ર હેઠળ રહેલી પ્રદુષિત નદીઓની કુલ સંખ્યા 46 છે તેમાં ગુજરાત અને ઉતર પ્રદેશમાં 6-6, હિમાચલ પ્રદેશ 4, મહારાષ્ટ્ર તથા તામીલનાડુમાં 4-4, કર્ણાટક પંજાબમાં 3-3 હરીયાણા-મધ્યપ્રદેશ-મેઘાલય-રાજસ્થાન-ઉતરાખંડમાં 2-2 તથા તેલંગણા આંધ્રપ્રદેશ આસામ, દિલ્હી, પશ્ચિમ બંગાળ તથા ઓડીસામાં એક એક નદી છે.
દેશમાં ઝડપી શહેરીકરણ તથા નબળી વેસ્ટવોટર મેનેજમેન્ટ સીસ્ટમને કારણે શહેરી ક્ષેત્રોનાં નદીના પટ પર જ વધુ પ્રદુષિત બની રહ્યા છે. આ નદીઓમાં ચોમાસા સિવાય પાણીના લેવલ-પ્રવાહ ધીમા હોય છે અને વેસ્ટ વોટર ઠલવાવાની સાથે ટ્રીટમેન્ટ પ્રક્રિયા નબળી હોવાથી પ્રદુષણ સ્તર વધુને વધુ ખતરનાક થઈ રહ્યું છે.


