સરકારી માધ્યમિક શાળાઓમાં હાલમાં આચાર્યની જે જગ્યાઓ છે. આ વધુ જગ્યાનો ઉમેરો થશે
નવી મંજુર થયેલી જગ્યા માટે 25.43 કરોડ રૂપિયાના ખર્ચને સરકાર દ્વારા વહિવટી મંજૂરી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 11 – રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 આચાર્યની નવી 301 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. હાલમાં આચાર્યની જે જગ્યાઓ છે. આ વધુ જગ્યાનો ઉમેરો થશે.
નવી મંજુર થયેલી જગ્યા માટે 25.43 કરોડ રૂપિયાના ખર્ચને સરકાર દ્વારા વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે. નવી જગ્યાની મંજૂરી અંગેના સત્તાવાર પ્રસિદ્ધ થયેલા ઠરાવમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે. શિક્ષણ વિભાગે તેના ઠરાવમાં જણાવ્યું છે કે, આ મંજૂર થયેલી જગ્યાઓ 6 માસમાં ભરવા નાણા વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મેળવવાની રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય તો તેને અગ્રીમતા આપવાની રહેશે.
ભરતી દરમિયાન ઉમેદવારો માટે ફરજિયાત કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. આ તમામ જગ્યાઓમાં સાતમા પગારપંચ મુજબ 44,900-1,42,400 પે મેટ્રિક લેવલ-8 મુજબ રહેશે. સીધી ભરતીથી નિમણૂક પામનારા ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણા વિભાગના 18-3-2005ના ઠરાવની જોગવાઈ પ્રમાણે સરકાર દ્વારા 1-4-2005થી દાખલ કરવામાં આવેલ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાશે.