— વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરીને ટિકીટ આપવા સાંસદ ભરતસિંહ ડાભીની માંગ :
ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ ખાતે પાટણ જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાભી અને અર્બુદા સેનાના અધ્યક્ષ શ્રી વિપુલભાઇ ચૌધરી તથા બ્રહ્માકુમારીની બહેનોની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાના કાર્યાલયનું દીપ પ્રાગટય કરી ઉદ્દઘાટન કરાયું હતું.
આ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ અર્બુદા સેનાની કામગીરીને વખાણી હતી અને કહ્યું હતું કે અર્બુદા સેનાને જ્યારે મારી જરૂર પડે ત્યારે હું ખડેપગે ઉભો છું. શ્રી વિપુલભાઈના સમાજને એક કરવાના પ્રયાસને હું બિરદાવું છું. જ્યારે જ્યારે ઓબીસી સમાજને મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું મદદે આવીશ. અર્બુદા સેનાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, સામાજિક સમરસતાથી અર્બુદા સેના લોક ઉપયોગી કાર્ય કરશે અને અહીં કાર્યાલય ખાતે ખેરાલુ નજીકના સમાજના ગામોના લોકોની સમસ્યા સાંભળવામાં આવશે અને તમામ યોજનાની જાણકારી મળી રહેશે.
આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ આડકતરી રીતે જણાવ્યું હતું કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરીને ટિકીટ આપવા માંગણી કરી હતી સાથે સાથે ફરીવાર ગૃહ મંત્રી બને તેવી માંગ પણ કરી હતી. ઓબીસી સમાજનું મોટું સંગઠન બને અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપણે ખભેખભે મિલાવી વિપુલ ચૌધરીએ રાજકારણમાં સક્રિય બનાવીએ તેવી પણ વાત કરી હતી.
વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાની દિયોદર ખાતે યોજાયેલી સભામાં જણાવ્યું હતુ કે, તેઓ વિસનગર બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેવું પરોક્ષ રીતે જણાવ્યું હતું કે, જ્યાં રેલી કાઢવા નથી દેતાં ત્યાંથી ચુંટણી લડવા જણાવ્યું હતું.