આવતીકાલે શુક્રવાર થી ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચની શરુઆત થનારી છે. બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મોહાલીમાં રમાનાર છે. જ્યારે બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાનારી છે. ભારતીય ટીમના ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ બાદ આઇપીએલમાં રમવા ઉતરશે. IPL 2022 બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડનારી છે. ભારતીય ટીમનુ શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, અને આ વ્યસ્તતા વચ્ચે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે.
આ માટેનુ આયોજન પણ BCCI ઘડી રહ્યુ છે. બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાનારી છે. જેમાં એક મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાનાર હોવાના રીપોર્ટ છે.
ટી20 વિશ્વકપ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટી20 સિરીઝ ખૂબ મહત્વની છે. આ સિરીઝ માટે બીસીસીઆઇએ મેચો ક્યાં આયોજીત કરવામાં આવનાર છે તે સ્થળના પણ એલાન કરી દેવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝ આમ તો ગત જાન્યુઆરી માસમાં દક્ષિણ આફ્રિકામાં જ રમાનારી હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના વધેલા ફેલાવાને લઇને ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
જેમાં શ્રેણીને બંને બોર્ડે નિર્ણય કરીને મોકૂફ જાહેર કરી હતી. જે હવે આઇપીએલ ટૂર્નામેન્ટ બાદ ભારતમાં જૂનમાં રમાનાર છે. મીડિયા રિપોર્ટનુસાર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી 5 મેચોની ટી20 સિરીઝ ભારતમાં પાંચ સ્થળો પર રમાનાર છે. આ માટેના સ્થળ નક્કિ કરી લેવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ બંને દેશો વચ્ચેની શ્રેણીને લઇ આયોજન હાથ ધરી ચુક્યુ છે. જે આયોજનની શરુઆતના ભાગરુપે જ સ્થળની પસંદગી નક્કી કરી લેવામાં આવી છે. આ સ્થળો પર જૂન માસના બીજા સપ્તાહની શરુઆત થી સિરીઝ રમાઇ શકે છે.
(ન્યુઝ એજન્સી)