મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ
વિદ્યાર્થિનીનો પિતાને અંતિમ સંદેશ
ગરવી તાકાત, ધોરાજી તા. 12 – પપ્પા મારે મરવાનું માત્ર એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતી નફરત થઈ ગઈ હતી. કેમ કે તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો જ કરતા તમને આવડતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે. જેણે મને મા અને બાપ બંન્નેનો પ્રેમ આપ્યો. સોરી દાદી. આઈ હેટ યૂ પપ્પા.મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હઈશ. મા મને માફ કરી દેજો કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ. 
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજી રોયલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી અને રોયલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ પિતાને કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.
ધોરાજીની રોયલ હોસ્ટેલના રૂમનંબર 318 માં રહેતી અને ધોરણ-11 માં ભણતી સગીરાએ પંખામાં ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીની પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે પિતાથી નારાજ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યૂસાઈડ નોટમાં પિતાએ ક્યારેય દીકરી ન ગણી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેના પિતા ફક્ત ગુસ્સો કરતા હોય, મરવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવું પણ જણાવ્યું છે. ધોરાજી પોલીસે સ્યૂસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડવામાં આવી હતી અને તેના પરિવારજનોને જાણ કરવામા આવી છે. ધોરાજી પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.

