— મહેસાણા અને બહુચરાજી તાલુકામાં દીપડાનો આતક :
— બહુચરાજીના દેલપુરાની સીમમાં પણ દીપડાના પગના નિશાન દેખાયા :
— 15 દિવસથી દિપડો પાંજરે નહી પુરાતા વનવિભાગની કામગીરી સામે સવાલ ?? :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા અને બહુચરાજી તાલુકામાં દીપડાના આંટાફેરાથી નાગરીકો ભયભીત બન્યા છે. છેલ્લાં ૧૫ દિવસથી દીપડાના આંટાફેરા હોવા છતાં વનવિભાગની ટીમ રેસ્ક્યુ નહી કરી શકતા કામગીરી અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગુરૃવારે રાત્રે દીપડાએ છઠીયારડા ગામના રબારી વાસમાં બકરીના બચ્ચાનુ મારણ કરતાં નાગરીકો અને ખેડૂતો ફફડી ઉઠ્યા છે. બીજી તરફ, બહુચરાજીના દેલપુરામાં પણ દીપડાના પગના નિશાન મળી આવ તા બંને તાલુકામાં આંટાફેરા કરી રહ્યો હોવાનુ સાબિત થયુ છે.

છઠીયારડા ગામમાં ઠાકોર વાસમાં રાત્રે ૧ થી ૧-૩૦ કલાકે દીપડો દેખાયો હતો. જ્યારે રબારી વાસમાં વહેલી સવારે દીપડાએ બકરાના બચ્ચાનુ મારણ કર્યુ હતુ. જો કે, કુતરા આવી જતા મારણ છોડીને દીપડો ભાગી ગયો હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ.બીજી તરફ, બહુચરાજી તાલુકાના દેલપુરા ગામની સીમમાં શુક્રવારે દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા.
તેથી વનવિભાગની ટીમે એડવાઈઝરીના પેમ્ફલેટ છપાવીને નાગરીકોને વિતરણ કર્યા હતા. છઠીયારડાની સીમમાં દીપડાને રેસ્ક્યુ કરવા માટે વનવિભાગે ૧૨ થી ૧૫ સભ્યોની ટીમો બનાવીને ૩ પાંજરા ગોઠવ્યા છે. જ્યારે બહુચરાજીમાં આરએફઓ કિંજલબેન પટેલની આગેવાની હેઠળ પાંચ સભ્યોની ટીમ દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહી છે. છઠીયારડા અને દેલપુરા નજીક રૃપેણ નદી આવેલી હોવાથી રૃપેણ નદીના કોતરોમાં દીપડો આંટાફેરા કરતો હોવાનુ સાબિત થયુ છે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


