ગરવી તાકાત, તા.05- લોકો દેશમાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ કોઈ પણ રોક ટોક વગર કરી શકે છે. પરંતુ વિદેશ પ્રવાસ માટે લોકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. વિદેશ યાત્રા માટે લોકોને પાસપોર્ટની જરૂર પડે છે. પરંતુ કેટલાક લોકોના મનમાં એવો પણ સવાલ ઉઠે છે કે શું પાસપોર્ટ વગર કોઈ પણ દેશની મુસાફરી કરી શકાય ખરા? તો ચલો તમને જણાવી દઈએ કે ભારતમાં વિદેશ યાત્રા માટે કયા કયા નિયમો છે.

પાસપોર્ટની જરૂર
અલગ અલગ દેશોના વિદેશ પ્રવાસ અંગે અલગ અલગ નિયમો છે. આવામાં વિદેશ યાત્રા કરવા માટે લોકોને પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ ન હોવાના કારણે લોકો બીજા દેશોમાં જઈ શકતા નથી. જો કે તમને જણાવી દઈએ કે કેટલાક દેશ એેવા પણ છે જ્યાં જવા માટે તમારે પાસપોર્ટની જરૂર નહીં પડે. તમારે ફક્ત તમારું એક ફોટો ઓળખ પત્ર સાથે રાખવુ પડે. આ ઓળખ પત્ર સાથે તમે તે દેશની ભારતથી મુસાફરી કરી શકો છે. તમને એમ થશે કે આવા કયા દેશ છે જ્યાં જવા માટે પાસપોર્ટની જરૂર ન પડે. તો આ દેશ છે નેપાળ અને ભૂટાન.
આ રીતે કરી શકશો મુસાફરી
ભૂટાન જવા માટે તમે વોટર આઈડી કાર્ડ લઈને જઇ શકો છો. જ્યારે બાળકો માટે તેમનું જન્મ પ્રમાણપત્ર, કે શૈક્ષણિક સ્કૂલ આઈડી કાર્ડ (આધાર કાર્ડ) સાથે લઈ જવાનું રહેશે. જો તમને નેપાળ જવા માંગતા હોવ તો ભારતના તમામ પ્રમુખ એરપોર્ટથી નેપાળના કાઠમંડુ માટે ફ્લાઈટનો લાભ લઈ શકો છો. નેપાળની એડવાઈઝરી મુજબ ભારતીયોને ફક્ત એક એવા દસ્તાવેજની જરૂર છે જે તેમની ભારતીય નાગરિકતા સાબિત કરે. આ માટે તેઓ વોટર આઈડી કાર્ડ કે આધાર કાર્ડ દર્શાવી શકે છે.
આ દેશો માટે વિઝાની જરૂર નથી
ભૂટાન અને નેપાળ ઉપરાંત એવા કેટલાક દેશ છે જ્યાં જવા માટે તમારે પાસપોર્ટની જરૂર તો પડશે પરંતુ વિઝાની જરૂર નહીં પડે. બધુ મળીને દુનિયાભરમાં કુલ 58 સ્થળો એવા છે જ્યાં તમે વિઝા વગર મુસાફરી કરી શકો છો. આ દેશોમાં માલદીવ, મોરેશિયસ, થાઈલેન્ડ, મકાઓ, શ્રીલંકા, નેપાળ, કેન્યા, મ્યાંમાર, કતાર, કંબોડિયા, યુગાન્ડા, સેશેલ્સ, ઝિમ્બાબ્વે અને ઈરાન સામેલ છે.


