ગુજરાતમાં લોકસભામાં ભાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે
ગુજરાતમાં આવી રહેલા લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 28 – ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું વાંકુ છે કે, જૂના જોગીઓ ઘરે બેસશે, અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કશે. ગુજરાતમાં લોકસભામાં ભાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે. ગુજરાતમાં આવી રહેલા લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે. ત્યારે હવે એવો ઘાટ સર્જાયો છે કે, ભાજપમાં પરસેવો પાડતા પાયાના કાર્યકર્તાઓ પક્ષપલટુઓ માટે પોસ્ટર લગાવશે અને તેમના માટે પ્રચાર કરશે. અને પક્ષપલટુઓ સાંસદ-ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે.
ભાજપે ચૂંટણી પહેલા જોરશોરથી ભરતી મેળો કર્યો. ભાજપે પક્ષપલટુઓ માટે લાલજાજમ પાથરી છે. હવે સ્થિતિ એવી બની છે, ભાજપમાં બહારથી આવનારા જશ ખાટી ગયા, અને ઘરના રહી ગયા. ભાજપમાં પક્ષપલટુઓનો દબદબો વધ્યો છે. કમલમ જાણે પક્ષપલટુઓથી ઉભરાયું છે. તેમાંથી 11 પક્ષપલટુઓને ભાજપે ટિકિટ આપીને મોટું ઈનામ આપ્યું છે.
હવે એમ કહી શકાય છે કે, ભાજપમાં પક્ષપલટુઓનો વટ પડ્યો. ભાજપ માટે ચપ્પલ ઘસી નાંખનારા કર્યકર્તાઓને કંઈ મળ્યુ નથી. તેમને માત્ર પક્ષપલટુઓની પાછળ રહીને પ્રચાર કરવાનો રહેશે. આ વખતે લોકસભાની ત્રણ બેઠકો પર પક્ષપલટુને ટિકિટ અપાતા ત્રણ સાંસદોને ઘરે બેસવું પડ્યું છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, સાબરકાંઠામાં શોભના બારૈયાના ટિકિટ અપાતા ડો.મહેન્દ્ર મુંજપુરા અને દીપસિંહ રાઠોડને ઘરે બેસવુ પડ્યું છે.
લોકસભા પહેલા ભાજપ કોંગ્રેસયુક્ત બની ગયું છે. ભાજપના 26 બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી 27 ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે. 26 માંથી 7 ઉમેદવારો નાતો કોંગ્રેસ સાથે છે. જેમાં શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા, પુનમ માડમ સામેલ છે. જેમના ભૂતકાળના છેડા કોંગ્રેસ સાથે અડે છે.
પેટાચૂંટણી પણ કોંગ્રેસીઓના સહારે લડશે ભાજપ
વિજાપુર,પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા. ગુજરાતની આ પાંચ વિધાનસભાની સીટ પરની પેટા ચૂંટણીના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે. ચહેરા એ જ છે. પાટલી બદલાઈ ગઈ છે. વિધાનસભાની પેટાચૂંટણીના તો તમામ ઉમેદવારો કોંગ્રેસી છે. જે બતાવે છે કે, ભાજપ વિધાનસભાની પેટાચૂંટણી પણ કોંગ્રેસના ઉમેદવારના સહારે લડશે.