- ગાંધીનગર સીઆઇડીના પીએસઆઈ વાય.કે.ઝાલાને બાતમી મળી હતી કે બહુચરાજીમાં લૂંટનો પ્લાન બનાવ્યો છે
ગરવી તાકાત, બહુચરાજી – ગાંધીનગર સીઆઇડીમાં ફરજ બજાવતા પી.એસ.આઈ વાય.કે.ઝાલાને બાતમી મળી હતી. જેમાં ત્રણ આરોપીઓ કોઈ પણ સ્થળે મોટી ઘટનાને અંજામ આપવાના છે. જો કે ઘટના શું હશે એતો પોલીસને પણ જાણ નહોતી. જો કે બેચરાજીની આસ્થા જ્વેલર્સમાં ત્રણ આરોપી લૂંટ કરવા આવવાના હોવાની બાતમી મળતાં તમામ પોલીસને એલર્ટ કરી દેવાયાં હતા. બહુચરાજીમાં ત્રણ આરોપીએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન બનાવી બાદમાં લૂંટ કરવા આવ્યા હતા. જો કે લૂંટ અંગેની બાતમી અગાઉથી જ ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમના પીએસઆઇને થતાં તેઓ બેચરાજી આવી પહોંચ્યા હતા. તેમજ મહેસાણા એલસીબી અને બહુચરાજી પોલીસની મદદથી વોચ ગોઠવી લૂંટારુઓ લૂંટ કરવા આવે એ પહેલાં જ પોલીસે ત્રણે લૂંટારુંને હથિયારો સાથે દબોચી લીધાં હતા. 
આ સમગ્ર કેસમાં આરોપી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતાં ગોસ્વામી મહેશપુરી ઉર્ફ સોમપુરીના હાથમાં એક પિસ્તોલ હતી. જે તપાસ કરતાં નકલી હોવાનું જાણવા મળ્યું હતુ. બાદમાં પોલીસે એક છરો સહિતના હથિયારો અને મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.
વાય.કે.ઝાલાના જણાવ્યા પ્રમાણે, બાતમી મળી હતી કે, ચાર દિવસથી લૂંટ ક્યાંક થવાની છે પણ ક્યાં થવાની છે એ જાણ નહોતી. જેથી અમે લૂંટ કરનારા માણસોને ટ્રેસ કરતાં હતા. જેમાં બે દિવસ પાટણ રોકાયાં પણ માણસો ટ્રેસ ન થયા બાદમાં એવું જાણવા મળ્યું કે, આરોપી બહુચરાજી આવી લૂંટ કરવાના છે. જે બાદ હું એકલો બહુચરાજી આવી આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે, લૂંટ કરવા 3થી 4 આરોપી આવનારા છે. ત્યારે સામે હું એકલો હતો. જેથી મહેસાણા એલસીબીને જાણ કરતાં ટીમ આવી ગઈ અને બહુચરાજી પોલીસને પણ જાણ કરાઈ જેથી સમગ્ર ટીમે વોચ ગોઠવી હતી.
બહુચરાજીના આસ્થા જ્વેલર્સમાં ત્રણ લૂંટારુ લૂંટ કરવા આવવાના હોવાની બાતમી સીઆઇડીને થતાં તેઓએ મહેસાણા LCB અને બહુચરાજી પોલીસની મદદથી જ્વેલર્સ પાસે વોચ ગોઠવી દીધી હતી. બાદમાં ત્રણ આરોપીઓ પોતાની સાથે હથિયારો લઇ લૂંટ કરવા આવતાની સાથે જ પોલીસે ત્રણ લૂંટારુને ઝડપ્યાં હતા. જેમાં ગોસ્વામી મહેશપુરી, યશપાલ સિંહ ભરતસિંહ વાઘેલા, વાઘેલા જયરાજસિંહ મગુભાને ઝડપી આરોપી પાસે રહેલા હથિયારો કબજે કરી વધુ તપાસ આદરી હતી. આ સમગ્ર મામલે આરોપી લૂંટ કરવા આવવાની જાણ થતાં જ બેચરાજી અને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સિવિલ ડ્રેસમાં આરોપી આવે એની રાહમાં સવારથી સ્ટેન્ડ બાય થઈ ગયા હતા. તેમજ બેચરાજીના મોટા ભાગના માર્ગો પર પણ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. તેમજ સોસાયટીમાં પણ પોલીસની ગાડીઓ ઉભી કરી દેવામાં આવી હતી. જેથી આરોપી ભાગી જાય તો બેચરાજી બહાર જઇ ન શકે.
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બહુચરાજી પોલીસ સ્ટાફના સંયુક્ત અને સફળ કામગીરી
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, સંજય કુમાર તેમજ બેચરાજી પોલીસ મથકના કોન્સ્ટેબલ કનકસિંહ , રાકેશસિંહ , ડાહ્યાજી , અનિલદાસ આ પોલીસ કર્મીઓએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતુ.


