એપીએમસી ચેરમેન દિનેશ પટેલે નકલી જીરૂ સંબંધે તીખી પ્રતિક્રિયા આપી કહ્યું આવા તત્વોને ચલાવી ન લેવાય
નકલી જીરૂ પકડવાનું કામ ભલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું હોય પણ ગેરકાયદે વેપલો પકડવાની જવાબદારીમાંથી પોલીસ પણ કઇ રીતે છટકી શકે? ચતુર કરો વિચાર
નકલી જીરૂના ધંધાર્થીઓ સામે ઊંઝા પોલીસના દરજીની સોય બુઠ્ઠી, હપ્તાખોરીની રકમે પોલીસની નૈતિકતાનું લોહી પાતળું કરી નાખ્યું હોવાની ચર્ચા
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા જીરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશમાં ઉત્પાદિત કુલ જીરામાંથી 70 ટકા જીરુ ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. દેશમાં સરેરાશ 5 લાખ ટન જીરું પાકે છે. તેમાંથી અંદાજે 4 લાખ ટન જીરું ગુજરાતમાં પાકે છે. ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાનું જીરું ઊંઝામાં ઉત્પાદિત થાય છે. પરંતુ કેટલાક લે-ભાગુ વેપારીઓ ઊંઝા શહેર સહિત પંથકમાં નકલી જીરાના કારોબાર થકી કરોડો રૂપિયાની કમાણી કરી લેવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
ત્યારે નકલી જીરૂ પકડવાનું કામ ભલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું હોય પણ ગેરકાયદે વેપલો પકડવાની જવાબદારીમાંથી પોલીસ પણ કઇ રીતે છટકી શકે? ‘ચતુર કરો વિચાર’ ઊંઝા પોલીસના ઓથા તળે બનાવટી જીરાના કાળા કારોબારનો તમામ વહીવટ ઊંઝા પીઆઇ દરજીના બે કમાઉ કથિત વહીવટદાર ઇરફાન બાદશાહ અને ભાવેશ નાયી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં તેજ બની છે.
નકલી જીરૂના ધંધાર્થીઓ સામે ઊંઝા પોલીસના દરજીની સોય બુઠ્ઠી, હપ્તાખોરીની રકમે પોલીસની નૈતિકતાનું લોહી પાતળું કરી નાખ્યું સાથે સાથે ઊંઝામાં બનાવટી જીરૂ બનાવનારા તત્વોને ‘બાદશાહ’નું રખોપું અને પાછલા બારણે પોલીસના નાયી આર્થિક મુંડન કરતાં હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે. જ્યારે આ બાબતે એપીએમસી ચેરમેન દિનેશ પટેલે નકલી જીરૂ સંબંધે તીખી પ્રતિક્રિયા આપી કહ્યું આવા તત્વોને ચલાવી ન લેવાય. ત્યારે નકલી જીરૂના કારોબારીયો સાથે ‘દરજી’ની સાંઠગાંઠ છતાં એસ.પી ‘તરૂણ’ની જેમ અણસમજૂ કેમ? તેવા સવાલો જિલ્લાની જનતા જર્નાદનમાં ચર્ચાનો વિષય બન્યાં છે.
નકલી જીરૂ બનાવતાં તત્વોને ખુલ્લા પાડવા જોઇએ : ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ