રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવે ચાર જિલ્લાની પોલીસની કામગીરીને બિરદાવી
ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવની આગેવાનીમાં પોલીસનું વાર્ષિક ઇન્સપેકશન યોજાયું
કાયદાની આંટીઘૂટીના નિકાલ માટે પોલીસ ઇન્સપેક્શનમાં લોક દરબારનું પણ આયોજન કરાયું
ગાંધીનગર રેન્જમાં આવતાં ચાર જિલ્લામાં કાયદા વ્યવસ્થાનો કોઇ પ્રશ્ન નથી – ગાંધીનગર રેન્જ આઇજી
પોલીસના વાર્ષિક ઇન્સપેક્શનમાં વિવિધ મોકડ્રિલ તેમજ વેપન્સની ટ્રેનિંગ પણ યોજાઇ હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – (Sohan Thakor) – મહેસાણા પોલીસનું આજ રોજ ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા વાર્ષિક ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, ડીવાયએસપી દેસાઇ, એસઓજી પીઆઇ એ.યુ.રોઝ, એસઓજી, એલસીબી પીઆઇ એસ.એસ.નિનામા સહિત તમામ પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ સહિત પોલીસ વિભાગના વિવિધ તાંબાના તમામ કર્મીઓ હાજર રહી વાર્ષિક ઇન્સપેક્શનમાં ભાગ લીધો હતો જેમાં મહેસાણા પોલીસ દ્વારા વિવિધ ક્રાઇમના ભેદ ઉકલેવાના સમયે રાખવામાં આવતી સર્તકતા, તપાસ સહિત બાબતો પર ચર્ચા તેમજ લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહેસાણા હેડ કવાર્ટર ખાતે મોકડ્રીલ, ટ્રેનીંગ સહિતના કાર્યક્રમ થકી રેન્જ આઇજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહેસાણા પોલીસના આ વાર્ષિક ઇન્સપેક્શન દરમિયાન ગાંધીનગર રેન્જ આઇ.જી. વિરેન્દ્રસિંહ યાદવે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી અને ડીવાયએસપી દેસાઇના નેતૃત્વમાં થતી પોલીસની સારી કામગીરી પર પણ ભાર મુકી મહેસાણામાં પોલીસ સારી કામગીરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, ગાંધીનગર રેન્જમાં આવતાં ચાર જિલ્લામાં હાલ કોઇ મોટો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન નથી તેમજ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવના તાબા હેઠળ આવતા ચારેય જિલ્લાના એસ.પી. દ્વારા સારી કામગીરી થતી હોવાનો પણ ઉલ્લેખ કરી કહ્યું હતું કે, રેન્જની પોલીસ ખુબ જ જાગૃત અને એક્ટીવ છે.
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં રોજબરોજ વકરતી જતી માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો પણ રેન્જ આઇજીના આ વાર્ષિક ઇન્સપેક્શનમાં ઉઠાવાયો હતો. શહેરમાં જ્યાં ત્યાં થતાં નાના મોટા દબાણો તેમજ આડેધડ પાર્કિગ સહિતના મુદ્દે મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સતત વધતી જાય છે. જેમાં ભમ્મરીયા નાળાથી કૃષ્ણના ઢાળના માર્ગ પર તો ટ્રાફિકની સમસ્યા દાયકાઓથી ઠેરની ઠેર છે જેમાં બે ચાર દિવસે ભમ્મરીયા નાળામાં અવાર નવાર ભારે ટ્રાફિક સર્જાય છે જેની હાલાકી વાહનચાલકો ભોગવી રહ્યાં છે ત્યારે રેન્જ આઇજી વિરેન્દ્ર સિંહ યાદવ દ્વારા ટ્રાફિકની સમસ્યાના કાયમી નિકાલ કરવા ખાસ સુચના અપાઇ હતી. જ્યારે વિવિધ કાયદાની આંટીઘૂંટીના નિકાલ માટે લોક દરબારનું પણ આયોજન કરાયું હતું.