બિપોરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 600 કિલોમીટર દૂર છે
આ સંકટ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યું છે. બિપોરજોય 11 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે
ગરવી તાકાત, ગાંધીનગર- તા. 10- બિપોરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 600 કિલોમીટર દૂર છે. આ સંકટ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યું છે. બિપોરજોય 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજથી 15 જૂન સુધી હવે આ વાવાઝોડાની અસર જોવા મળશે. આ અસરથી ગુજરાતના અનેક વિસ્તારોના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાના પગલે સ્થાનિક તંત્ર અને પ્રશાસન હરકતમાં આવ્યું છે. અરબી સમુદ્રની અંદર વાવાજોડુ આગળ વધતા કોસ્ટગાર્ડની ટીમો એક્શન મોડમાં આવી છે.

દરિયાામાં હવાઈ નિરીક્ષણ શરૂ કરાયું છે. તો દરિયા કાંઠે પોલીસ તૈનાત કરાઈ છે, જેથી લોકોને દરિયામાં જતા અટકાવી શકાય. દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. ગુજરાતના દરેક બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. લોકોને દરિયાકાંઠે ન જવાની સૂચના પણ આપવામાં આવી રહી છે. તો ગિરનારનો રોપ વે પણ બંધ કરાયો છે. સંભવિત વાવાઝોડા બિપરજોય સંદર્ભે પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડ ખાતે એક એક ટીમ એમ એનડીઆરએફની કુલ ત્રણ ટીમો મોકલવામાં આવી દીધી છે. જ્યારે એક એસ.ડી.આર.એફની ટીમ કચ્છ ખાતે મોકલી દેવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સુરતમાં સુવાલીના દરિયાકિનારામાં 4થી 5 ફૂટ ઉંચા મોજા ઉછળ્યાં. જેથી આગામી. 3 દિવસ સુધી સુવાલી અને ડુમ્મસ બીચ બંધ કરાયા છે. દ્વારકાનો શિવરાજપુર બીચ પણ સંભવિત બિપરજોય વાવાઝોડાના કારણે બંધ કરાયો છે. તારીખ 10 જુનથી 15 જુન સુધી શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરાયો છે. વાવાઝોડાના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એ માટે મહત્વ પૂર્ણ નિણર્ય લેવાયો છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા લોકોને અપીલ કરાઈ છે.


