ગરવી તાકાત, મહેસાણા તા. 15- ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં તળાવ આવેલું છે જે તળાવમાં અનેક માછલીઓ છે. ત્યારે ભુણાવ ગામના આ તળાવમાં કોઇ અગમ્ય કારણોસર હજારો માછલીઓ મોતને ભેટીં હતી. તળાવમાં રહેલી માછલીઓના મોત થવાના કારણે અનેક માછલીઓ મૃતપાય હાલતમાં તળાવના કિનારે જોવા મળી હતી.

જો કે ગ્રામજનોને આ બાબતની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના તળાવ પાસે માછલીઓના મોત જોવા ઉમટી પડ્યાં હતા. જ્યારે આ બાબતની જાણ ભુણાવ આરોગ્ય કેન્દ્રને કરવામાં આવી હતી જેને પગલે આરોગ્ય કેન્દ્રની ટીમ ભુણાવ ગામના તળાવમાં પહોંચી માછલીઓના મોત કયા કારણોસર થયા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ બાબતે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ કારણોસર માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને તળાવના પાણીમાં કોઈ પશુ પાણી પીવે નહીં અને પાણીના અંદર કોઈ વ્યક્તિ પ્રવશે નહીં જેની સતર્કતા રાખવા જણાવ્યું હતું અને તળાવના પાણીમાંથી આરોગ્ય કર્મચારીઓએ અલગ અલગ જગ્યાએથી પાણીના સેમ્પલ લઈને તપાસમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ બાબતે ઊંઝા તાલુકાના ભુણાવ ગામના તળાવમાં મૃત માછલીઓ જોવા મળી જેમાં ભુણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત દ્વવારા તળાવની તપાસ કરવામાં આવી હતી.


