ગરવી તાકાત ઃ સતાલાસણા
તા.10-9-2026
સતલાસણા નજીક ખેતરમાં સૂતેલા પરિવાર પર અજાણ્યા શખસોનો જીવલેણ હુમલો: વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત, બે ગંભીર રીતે ઘાયલ
ઘરમાં તિજોરીના ખાના ખુલ્લા મળતાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની પ્રબળ આશંકા વચ્ચે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા હેઠળ આવતા ધરોઈથી ફતેપુરા રોડ પર સ્થિત ધરોઈ કંપા વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત ચકચારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં મકાન બનાવીને શાંતિથી વસવાટ કરી રહેલા નિર્દોષ પરિવાર પર અજાણ્યા અસામાજિક તત્ત્વોએ ઓચિંતો ઘાતકી અને જીવલેણ હુમલો કરી દીધો હતો. રાત્રિના સુષુપ્ત સમયમાં થયેલા આ અચાનક ખૂની હુમલામાં ૭૬ વર્ષીય વૃદ્ધા પટેલ દિવાબેન શંકરભાઈ ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યો ૨૬ વર્ષીય યુવક પટેલ વિરાભાઈ શંકરભાઈ અને ૫૮ વર્ષીય પટેલ શારદાબેન શંકરભાઈ પર પણ હુમલાખોરોએ ઘાતકી પ્રહાર કરતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયા હતા. આ લોહિયાળ કાંડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.
આ હૃદયદ્રાવક ઘટનાની જાણ વહેલી સવારે થઈ હતી. બનાવ અંગે મૃતક વૃદ્ધાના જમાઈ વસંતભાઈએ વિગતો આપતાં જણાવ્યું હતું કે સવારે આશરે સાતેક વાગ્યાના અરસામાં તેમના સાળા વિરમભાઈનો મોબાઈલ પર કોલ આવ્યો હતો. જોકે સામે છેડેથી વિરમભાઈ અત્યંત ગંભીર રીતે ઘવાયેલા હોવાના કારણે કશું પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતા અને માત્ર કણસવાનો અવાજ આવી રહ્યો હતો. આ અજુગતી પરિસ્થિતિને પગલે પરિવારમાં તાત્કાલિક શંકા જાગી હતી, જેથી તેમણે પરિસ્થિતિની ખાતરી કરવા માટે પોતાના દીકરાને તાબડતોબ ખેતરે મોકલ્યો હતો. ખેતરે પહોંચેલા પુત્રએ જોયું તો ઘરમાં ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાયેલા હતા, વૃદ્ધા નિષ્પ્રાણ હાલતમાં પડ્યા હતા અને અન્ય બંને સભ્યો ગંભીર રીતે કણસી રહ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને સ્થાનિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન ઘરની અંદર મુકેલી તિજોરીના ખાના તૂટેલા અને વેરવિખેર ખુલ્લી હાલતમાં જોવા મળતાં પ્રાથમિક દ્રષ્ટિએ તસ્કરો દ્વારા લૂંટ ચલાવવાના મલિન ઈરાદે જ આ હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રબળ શક્યતા જણાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંને ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની નાજુક સ્થિતિને ધ્યાને રાખીને પ્રાથમિક સારવાર બાદ વધુ સઘન સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ આ ચકચારી હત્યા અને હુમલાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અજાણ્યા હુમલાખોરો કેટલી સંખ્યામાં આવ્યા હતા, કયા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો અને ઘરમાંથી કઈ કઈ કિંમતી ચીજવસ્તુઓ કે રોકડની લૂંટ ચલાવાઈ છે તે તમામ દિશામાં એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ મેળવીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. શાંત ગણાતા ગ્રામીણ સીમ વિસ્તારમાં બનેલી આ ક્રૂર હત્યાની ઘટનાને પગલે ધરોઈ કંપા સહિત આજુબાજુના તમામ ગામોમાં ભારે અરેરાટી સાથે ભયની લાગણી વ્યાપી ગઈ છે અને ગ્રામજનો દ્વારા હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કડકમાં કડક કાનૂની સજા ફટકારવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.


