ગરવી તાકાત, તા. 28 – તમે વરસાદી પાણીથી પરેશાન હોવ અને જેમ તેમ કરીને રસ્તા પરથી પસાર થઈને ઘર કે ઓફિસ તરફ જઈ રહ્યાં હોવ. એવામાં જો અચાનક તમારા પગ પાસેથી મગરો દોડવા લાગે તો શું સ્થિતિ થાય? કંઈક આવી જ સ્થિતિ હાલ ગુજરાતના એક શહેરમાં જોવા મળી રહી છે. અલબત્ત આ વાત અત્યાર પુરતી જ નથી, અહીં વર્ષોથી ચોમાસામાં આવી જ પરિસ્થિતિ ઉદભવતી હોય છે. જોકે, તેમ છતાં આજ સુધી તંત્ર આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી શક્યું નથી. કારણકે, આ શહેરના તંત્રની ચામડી પણ મગરની જેમ જાડી થઈ ગઈ છે.

અમે વાત કરી રહ્યાં છીએ સંસ્કાર નગરી તરીકે જાણીતા વડોદરા શહેરની…ભારે વરસાદને પગલે જ્યારે આખાય શહેરમાં પાણીપાણી થઈ ગયું છે. ત્યારે અહીંની વિશ્વામિત્રી નદી છલકાતા પાણીની સાથો સાથ અનેક ખુંખાર મગરો પણ રોડ-રસ્તા પર આવી ગયા છે. વડોદરાના રોડ-રસ્તા, પર આ મગરોએ રીતસરનો આતંક મચાવ્યો છે. એટલું જ નહીં રોડ-રસ્તાની સાથો સાથ આ મગરો, અહીંની સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો, બગીચાઓમાં પહોંચી જાય છે. જેને કારણે સ્થાનિક રહિશો હંમેશા મગરના ખૌફમાં જીવતા હોય છે.
ગુજરાતના આ શહેરમાં વસે છે 1000થી વધુ મગર!
વડોદરા તથા આજુ બાજુના ગામની નદી તથા તળાવોમાં મોટી સંખ્યામાં મગર રહે છે. સૌથી વધારે મગર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં રહે છે. વન વિભાગ અનુસાર, વડોદરામાં 350 થી 450 જેટલા મગર છે, જ્યારે આજુ બાજુ નદી, તળાવ સહિતની મગરોની સંખ્યા 1000 કરતા પણ વધારે છે.
નદીકાંઠે રહેતાં લોકો હંમેશા ભયમાં રહે છેઃ
અનેકવાર ઘટના થઈ ચૂકી છે કે નદી કિનારે કપડાં ધોતા હોય કે કુદરતી હાજતે ગયેલા હોય આવા વ્યક્તિઓને મગર ખેંચી જવાની ઘટના બની ચૂકી છે. તેથી નદીકાંઠે રહેતાં લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે.


