મહુડી ઘંટાકર્ણ મંદિરમાં કરોડોની ઉચાપતના મામલે થયેલી PIL હાઈકોર્ટે રદ્દ કરી: આ ચેરીટી કમિશ્નરની મેટર છે
ગરવી તાકાત, અમદાવાદ,તા.25 – જૈનોની આસ્થાના તીર્થસ્થળ મહુડીના શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં કમિટીના સભ્યો દ્વારા 130 કિલો સોનુ અને રૂા.14 કરોડની નાણાકીય ગેરરીતિના આક્ષેપ સાથે હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ દ્વારા રદ કરવામાં આવી છે. ચીફ જસ્ટીસે એવી ટકોર કરી હતી કે, આ મામલો ચેરીટી કમિશન સમક્ષ પેન્ડિંગ છે, જયારે જાહેરહિતની અરજી અર્થહિન છે. અરજદારે ચેરીટી કમિશન સમક્ષ તેમની જે કંઈપણ રજૂઆત હોય તે કરવી જોઈએ.

પ્રસ્તુત કેસમાં મંદિરના કમિટીના સભ્યો ભુપેન્દ્રભાઈ વોરા અને કમલેશભાઈ મહેતા ઉપર અરજદાર દ્વારા નાણાકીય ગોટાળાના આક્ષેપોના પગલે ખળભળાટ મચ્યો હતો. અરજદારે એવી માગ કરી હતી કે મંદિરના વર્ષ 2012થી વર્ષ 2024 નાણાકીય વ્યવહારોની તપાસ માટે રાજય સરકાર અથવા તો ચેરીટી કમિશ્નર એક કમિટીની નિમણુંક કરે અને કમિટીના અંતિમ અહેવાલને જાહેરમાં મૂકવામાં આવે. જેથી કરીને વિશ્વ પ્રસિધ્ધ મંદિરના નાણાકીય વ્યવહારો અંગેની પારદર્શિતા સામે આવી શકે.
અરજદાર જયેશભાઈ બાબુલાલ મહેતાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે પીઆઈએલ દાખલ કરી એવી રજૂઆત કરી હતી કે ‘અરજદાર પોતે જૈન છે અને એ પોતાની ફરજ સમજે છે કે મહુડીના સુપ્રસિધ્ધ તીર્થસ્થળ ઘંટાકર્ણ મહાવીર મંદિરના બે મેનેજમેન્ટ કમીટીના સભ્યો દ્વારા 130 કિલો સોનુ અને રૂા.14 કરોડ રોકડની નાણાકીય ગેરરીતિ આચરી છે. વર્ષ 2012થી 2024 સુધીમાં આ તથાકથિત કમીટી સભ્યો દ્વારા ગેરકાયદે અને ગેરબંધારણીય રીતે મહુડીના પવિત્ર મંદિરના દૈનિક કામકાજો પોતાની મરજી અને માગ મુજબ ચલાવેલ છે અને એ રીતે તેમણે નાણાકીય લાભ લેવા માટે જાહેર નાણાને ભારે નુકસાન પહોંચાડયું છે.


