રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો દાવો કરતી સરકારની પોલીસ હજી સુધી 2322 લોકોને પકડી શકી નથી
2020-21માં 884.36 કરોડ, 2021-22માં 1583.64 કરોડ અને 2022-23માં 1571.86 કરોડ રૂપિયા લોકોએ ગુમાવ્યા
ગરવી તાકાત, ગાંધીનગર તા. 16- ગુજરાતમાં નાણાંકીય છેતરપિંડીના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના લોકો અને સંસ્થાઓ પાસેથી ઠગભગતો 4100 કરોડ રૂપિયા પડાવી ગયા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો દાવો કરતી સરકારની પોલીસ હજી સુધી 2322 લોકોને પકડી શકી નથી.

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઠગાઇ અને છેતરપિંડીના જે કેસો બન્યાં છે. તેમાં 2020-21માં 884.36 કરોડ, 2021-22માં 1583.64 કરોડ અને 2022-23માં 1571.86 કરોડ રૂપિયા લોકોએ ગુમાવ્યા છે.
ઠગાઇ અને છેતરપીંડીના આ કેસોમાં સંડોવાયેલા 9845 આરોપીઓને પોલીસે પકડ્યા છે પરંતુ હજી સુધી 2322 આરોપી પોલીસ જાપ્તામાંથી દૂર છે. એટલે કે તેઓ ફરાર છે. આવા કેસો માત્ર શહેરોમાં જ નહીં પણ રાજ્યના તમામ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બનેલા છે.
ગૃહમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે એકમાત્ર અમદાવાદ શહેરમાં ઠગાઇ અને છેતરપીંડીના 1500થી વધુ કિસ્સા બન્યા છે. જ્યારે સુરતમાં 1200થી વધુ કિસ્સા જોવા મળ્યાં છે. જ્યાંથી આખા રાજ્યનો કાયદો બને છે તેવા ગાંધીનગરમાં 250 જેટલા કિસ્સા બન્યાં છે. જો કે રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં છેતરપીંડીના કેટલાક છૂટક કેસ પોલીસમાં નોંધાયા છે.


