પદાધિકારીઓ.અધિકારીઓ,સુરક્ષા કર્મી, છાત્રો અને શહેરીજનો,પદાધિકારી તેમજ પ્રબુધ્ધ નાગરિકો યાત્રામાં જોડાયા
રાષ્ટ્રભાવનાને સમર્પિત ‘મારી માટી, મારો દેશ’ હર ઘર તિરંગા જનઅભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે
ગરવી તાકાત, મહેસાણા તા. 15- મહેસાણા આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત હર ઘર તિરંગા,મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત મહેસાણા શહેર ખાતે તિરંગા યાત્રા યોજાઇ હતી. સંસદ સભ્ય સર્વેશ્રીઓ,ધારાસભ્ય સર્વેશ્રીઓ,જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી સહિત પોલીસ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, છાત્રો, શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીનું “ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ”ને સાર્થક મહેસાણા વાસીઓ દ્વારા કરાયું છે.કલેકટરે ઉમેર્યું હતું કે આવનાર 25 વર્ષના ભારત નિર્માણમાં યુવાનોનો સહયોગ જરૂરી છે. આજની પેઢી આવતી કાલના ભવિષ્ય નિર્માણ સાથે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવા અપીલ કરી હતી. તેમણે આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા માટે સમર્પિત બનશે જેનાથી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થનાર છે.

જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજને ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાની રક્ષા કરવી એ આપણા સૌની જવાબદારી છે. આજે આ તિરંગા યાત્રામાં જોડાઈ આપ સર્વેએ દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
આ પ્રસંગે જુગલજી લોખંડવાલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને એક બહુ જ ઉમદા ભાવ સાથે જનતા સામે રાખ્યું છે. 1857 થી 1947 સુધીના 90 વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ કર્યાં બાદ આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ. દેશના વીર સપૂતોના બલિદાન ખાલી બલિદાન માત્ર નથી, તેમના બલિદાન આપણી આવનારી પેઢી અને દેશ માટે જીવન જીવવાના સંસ્કાર છે તેમ જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન પર ગત વર્ષે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઘરે ઘરે તિરંગો લહેરાયો હતો. દેશભરમાંથી લોકો જોશભેર આ રાષ્ટ્ર ભાવના જગાવતા આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આ વર્ષે પણ રાષ્ટ્ર ઉત્સવની ભવ્ય ઉજવણી દેશભરમાં થઇ રહી છે.
હાથમાં તિરંગા સાથે વંદે માતરમ, ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગાઈ ગયું હતું. યાત્રાનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મારી માટી, મારો દેશ, હર ઘર તિરંગા, અભિયાનનો સંદેશ આપી લોકોજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રારંભે બેન્ડ, મહાનુભાવો, પોલીસ, છાત્રો, શહેરીજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા.
યાત્રા પૂર્ણ થયા બાદ ટાઉનહોલ ખાતે ઉપસ્થિત સર્વેએ વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા પ્રતિજ્ઞા લીધી હતી. તિરંગો આપણી રાષ્ટ્રીય એકતા,અખંડિતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે. આજે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને આપણે સૌ અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ. અમૃતકાળ આપણા સૌ માટે કર્તવ્યકાળ છે. બધા જ દેશવાસીઓ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે તો આપણે આપણા સ્વાતંત્ર સેનાનીઓના સ્વપ્નનું ભારત અવશ્ય બનાવી શકીશું.
મહેસાણા શહેર ખાતે યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રા મહેસાણા દૂધસાગર ડેરીથી,રાધનપુર ચોકડી,ગોપીનાળા,ફુવારા થઇ ટાઉનહોલ ખાતે પુર્ણ થઇ હતી. મહેસાણા શહેર ખાતે યોજાયેલ ભવ્ય યાત્રામાં સાંસદશ્રી શારદાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી,અગ્રણી ગીરીશભાઇ રાજગોર,પુર્વ સંસદ નટુજી ઠાકોર,અગ્રણી ભગાજી ઠાકોર,જે.એફ ચૌધરી,જિલ્લાના અધિકારી,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


