રેશનકાર્ડ દુકાનના સંચાલકો તો ગરીબોના મળતાં અનાજના જથ્થો ચાઉ કરવાના અનેક કિસ્સા છે પણ હવે ગરીબોને શાળામાં અપાતાં મધ્યાહન ભોજનના અનાજના જથ્થો પણ ચાઉ કરી ગયા સંચાલકો
શાળાઓમાં બાળકોને અપાતાં મધ્યાહન ભોજનનો અનાજના જથ્થો પણ સગેવગે કરવાનું નથી ચૂકતાં સંચાલકો
વિજાપુર સહિત તાલુકાના મણીપુરા, લાડોલ, હાથીપુરા કેન્દ્રો પર મધ્યાહન ભોજનના જથ્થામાં 1090 કિલો જથ્થાની ઘટ
Sohan Thakor -મહેસાણા તા. 09 – મહેસાણા જિલ્લામાં રાશનકાર્ડમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતો અનાજનો જથ્થો રેશનકાર્ડ દુકાનના સંચાલકો અનેકવાર બારોબાર ચાઉ કરી ગયાના અસંખ્યા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે હવે રેશનકાર્ડના સંચાલકોની સાથે સાથે હવે મધ્યાહન ભોજનના સંચાલકો પણ પ્રાથમિક શાળાઓમાં બાળકોને અપાતાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતો જથ્થો સગેવગે કરી રહ્યાં હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યોં છે.

મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા મધ્યાહન ભોજનનું 1090 કિલો જથ્થો બારોબાર સગેવગે કરાયો હોવાનું ખુલાસો થયો છે. જેમાં 150 કિલો સરકારી તુવેળદાળ, 228 કિલો ઘઉં, 651 કિલો ચોખા, 60 કિલો તુવેરદાળનો જથ્થો વેચવાનું કૌભાડ ચાલી રહ્યાં છે. વિજાપુર તાલુકાના મણીપુરા, લાડોલ, હાથીપુરાના મધ્યાહન ભોજનના કેન્દ્રોને સરકાર દ્વારા ફાળવાતાં જથ્થામાં સ્પષ્ટપણે ઘટ થઇ હોવાનું જણાઇ આવે છે.
મહેસાણા જિલ્લાનું વહીવટીતંત્ર ખાડે ગયું છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની પ્રથા મહેસાણા જિલ્લા વહીવટીતંત્રની રહી છે. જ્યારે કોઇપણ કૌભાંડ પ્રકાશમાં આવે ત્યારે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ ન તો જિલ્લામાં ક્યાંય ચેકિંગ કે તપાસ હાથ ધરાય છે. અને આવા અનેક રેશનકાર્ડ દુકાનના સંચાલકો તેમજ મધ્યાહન ભોજનના સંચાલકો કોઠાની ભ્રામક માયાજાળ રચી ઉપર જવાબદાર અધિકારીને દર્શાવે છે. પરંતું એસી ઓફિસમાં બેઠા બેઠા તમામ વહીવટ થતો નથી ક્યારેક ઓચિંતી તપાસ જિલ્લામાં અનેક સ્થળો પર હાથ ધરાય તો આવા તો અનેક તોલિયા તંબોલીયા મળી આવે તેમ છે.
વિજાપુરના કેન્દ્રમાં 50 કિલો ઘઉં, 124 કિલો ચોખા અને 53 કિલો તેલ, મણીપુરાના કેન્દ્રમાં 163 કિલો ઘઉં, 301 કિલો ચોખા, 56 કિલો તુવેરદાળ અને 29 કિલો તેલ, લાડોલના કેન્દ્રમાં ત્રણ કિલો તેલ તેમજ હાથીપુરાના કેન્દ્રમાં 15 કિલો ઘઉં, 226 કિલો ચોખા, 4 કિલો તુવેરદાળ અને 66 કિલો તેલના જથ્થાની ઘટ મળી આવી હતી. આ ચારે કેન્દ્રોમાં સરકારી અનાજના જથ્થામાં મોટાપાયે ઘટ મળી આવતાં મામલતદારે બંને સંચાલક કામિનીબેન દિલીપભાઈ પટેલ અને અક્ષયકુમાર દિલીપભાઈ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી તપાસ દરમિયાન અનાજના જથ્થાની વિસંગતતા મામલે એક દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.


