શાકભાજી સહિતની ખાદ્યચીજોમાં ભાવ વધારાથી સળંગ ત્રીજા મહિને ‘થાળી’નો ખર્ચ વધ્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 08- ટમેટા સહિતનાં શાકભાજીમાં કેટલાંક સમયથી અસામાન્ય ભાવ વધારા માટે સરકાર ‘હવામાન’ને દોષ આપી રહી છે ત્યારે હજુ મોંઘી ચીજોમાં કોઈ રાહત નથી ટમેટા સહીતની ખાદ્યચીજો મોંઘી રહેવાને કારણે ભારતીય ભોજનની થાળી સરેરાશ 34 ટકા મોંઘી થઈ હતી. ભારતીય કંપની કીસીલનાં રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે શાકાહારી થાળીની કિંમત જુનની સરખામણીએ જુલાઈમાં 34 ટકા વધી ગઈ હતી. જયારે નોન-વેજ થાળી 13 ટકા મોંઘી થઈ હતી.
ફૂડ પ્લેટ કોસ્ટના માસીક ઈન્ડીકેટર પ્રમાણે ટમેટાનાં ઝટકાની સાથોસાથ રસોડાનાં બજેટ પણ વેરવિખેર થયા છે. થાળી મોંઘી થવામાં 25 ટકા કારણ માત્ર ટમેટાનું રહ્યું છે. જુનમાં સરેરાશ રૂા.33 માં મળતા ટમેટાનો હોલસેલ ભાવ સરેરાશ રૂા.110 હતો. શાકાહારી ભારતીય થાળીની કિંમત સળંગ ત્રીજા મહિને વધી છે. 2023-24 ના નાણાકીય વર્ષમાં પહેલીવાર એવુ બન્યુ છે કે જયારે વાર્ષિક ધોરણે પણ થાળી મોંઘી થઈ છે.શાકાહારી થાળીમાં દાળ, રોટલી, શાક (ડુંગળી-ટમેટા-બટેટા) દહી તથા સલાડને ગણતરીમાં લેવામાં આવે છે. કિશીલના રીપોર્ટમાં એમ કહેવાયું છે
કે ઉતર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચીમ બંગાળ એમ સમગ્ર ભારતમાં પ્રર્વતતી કિંમતોનું વિશ્લેષણ કરીને થાળી તૈયાર કરવાનો એવરેજ ખર્ચ ગણવામાં આવ્યો છે. કિંમતોમાં ફેરફારનાં આધારે ખર્ચ પર અસર જોવા મળે છે. અનાજ, દાળ, શાકભાજી, મસાલા, ખાદ્યતેલ તથા રસોઈ ગેસ જેવી ચીજોની કિંમતોને લક્ષમાં લઈને સરેરાશ ખર્ચ ગણવામાં આવે છે.જુલાઈ મહિનામાં બટેટા 16 ટકા, ડુંગળીમાં 9 ટકા, જીરૂમાં 16 ટકાનો ભાવ વધારો થયો છે. ખાદ્યતેલની કિંમતમાં સરેરાશ બે ટકાનો ઘટાડો હોવાથી થાળી ખર્ચમાં આંશીક રાહત છે. અન્યથા વધુ મોંઘી થઈ શકી હોત.
લોકલ સર્કલ એજન્સીનાં સર્વેમાં એવા તારણ બહાર આવ્યા છે કે ગત સપ્તાહમાં દર ત્રણમાંથી એક ભારતીય પરિવારે ટમેટાની ખરીદી રૂા.200 કે તેથી પણ ઉંચા ભાવે કરી હતી. 10 ટકા લોકોએ રૂા.250 ના ભાવે ટમેટા ખરીદ કર્યા હતા. જયારે 30 ટકા લોકોએ રૂા.150 થી 200 ના ભાવે ચુકવ્યા હતા. કેન્દ્ર સરકારે લોકસભામાં એક લેખીત જવાબમાં જણાવ્યું હતુ કે ટમેટા સહીતની ખાદ્યચીજોમાં ભાવ વધારાનું કારણ હવામાન છે.કર્ણાટકમાં પાકમાં રોગ તથા ઉતર ભારતમાં વહેલા-તોફાની વરસાદથી ટમેટાને નુકશાન હતુ. પરીણામે ભાવો પર વોચ રાખે છે. તુવેરદાળ મોંઘી થવા પાછળનૂં કારણ ઓછુ ઉત્પાદન હોવાનું ગણાવ્યું છે.