બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરોએ મળીને આજે શંકર ચૌધરીને ફરી ચેરમેન પદે નિયુક્ત કરી દીધા છે
ભાજપે શંકર ચૌધરીને ફરી રિપીટ કરીને એ સંકેત આપી દીધા છે કે ઉત્તર ગુજરાતના સહકાર રાજકારણ માટે શંકર ચૌધરીનું કદ હજુ પણ અકબંધ
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 02 – કહેવાય છે સૂકાભઠ્ઠ રણને પણ લીલાછમ કરી શકાય છે, તમને યકીન નહીં થાય પણ સપનાં વાસ્તવમાં તબદીલ થઈ શકે છે. હાલમાં બનાસ ડેરીના ચેરમેને એ જ સપનાંને વાસ્તવિક કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. એ સારી રીતે જાણે છે કે માયૂસ ચહેરા પર સ્મિત પ્રસરી શકે છે. એક રીતે બનાસ ડેરી વહેતી શ્વેતગંગા છે, જેનાથી સૂકાંપ્રદેશના લોકોનું જીવન ધન્ય થયું છે. આ એશિયાની સૌથી મોટી ડેરી હાથમાંથી ગઈ તો શંકર ચૌધરીનું સહકારી રાજકારણ પુરૂ થઈ જશે. શંકર ચૌધરી ભલે હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના પદ પર બિરાજમાન હોય પણ એના કરતાં પણ બનાસ ડેરીનું ચેરમેન પદ વધુ અગત્યનું છે.

વિધાનસભાના અધ્યક્ષ બનતાં જ શંકર ચૌધરીએ ગુજરાત રાજ્ય સહકારી બેંકમાંથી રાજીનામું આપી દીધું હતું. બનાસ ડેરીના ચેરમેન પદ સાથે ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો સંકળાયેલો ન હોવાથી શંકર ચૌધરી ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન પદે ફરી ચૂંટાયા છે. બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરોએ મળીને આજે શંકર ચૌધરીને ફરી ચેરમેન પદે નિયુક્ત કરી દીધા છે. પહેલાં એવી ચર્ચા હતી કે એક નેતા એક પદમાં માનતી ભાજપ એમને રિપિટ નહીં કરે, કારણ કે હાલમાં ડેરીઓમાં ભાજપનો દબદબો છે. ભાજપ મેન્ડેટ જાહેર કરશે. પણ ભાજપે શંકર ચૌધરીને ફરી રિપીટ કરીને એ સંકેત આપી દીધા છે કે ઉત્તર ગુજરાતના સહકાર રાજકારણ માટે શંકર ચૌધરીનું કદ હજુ પણ અકબંધ છે. મહેસાણાની દૂધ સાગર ડેરીમાંથી વિપુલ ચૌધરીને ઘરભેગા કરી ભાજપે અશોક ચૌધરીને ચેરમેન બનાવી પોતાનો દબદબો જાળવ્યો છે.
શંકર ચૌધરીએ સહકાર અને રાજકારણમાં પોતાનો પગદંડો જમાવવો હોય તો બનાસ ડેરીનું ચેરમેન પદ એ અતિ અગત્યનું છે. બનાસકાંઠામાં મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે.જેથી મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોવાથી બનાસડેરી સાથે જોડાયેલા છે. બનાસડેરીએ બનાસકાંઠા જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન છે. 2 હજાર કરતા વધુ દૂધ મંડળીઓ બનાસડેરી સાથે સંકળાયેલી હોવાથી મોટાભાગના લોકો બનાસડેરી સાથે સંકળાયેલા હોવાથી જે ચેરમેન હોય તેમને સીધો ફાયદો થાય છે. લોકો સાથે સીધા જોડાયેલા હોવાની સાથે તેમને રાજકારણમાં પણ અતિ મદદરૂપ થાય છે. કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય તો બનાસડેરી થકી લોકો આસાનીથી એકઠા કરી શકાય છે. બનાસડેરીના કારણે કોઈપણ સરકારી કાર્યક્રમ કરવો હોય તો આસનીથી કરી શકાય છે.


