લવિનાની તો અગ્નિ સંસ્કાર પણ થઇ ગયા તો પછી પાણીની પાઇપલાઇનમાંથી કોના માનવ અવશેષો મળી રહ્યાં છે ?
સિદ્ધપુરના મહેતાઓળના મહાડ નજીક પાણીના પ્રેશર સાથે માનવ અવશેષો નીકળી આવ્યા હતા
લવિનાની હત્યાની કે આત્મહત્યાની કડી મેળવવામાં હજુ પાટણ જિલ્લા પોલીસતંત્રને સફળતાં મળી નથી
ગરવી તાકાત, સિદ્ધપુર તા. 29- સિદ્ધપુરની પાણીની પાઈન લાઈનમાંથી મળેલી કોહવાયેલી લાશ 25 વર્ષની લવિનાની હોવાની પુષ્ટિ થઈ હતી. ડીએનએ રિપોર્ટમાં પરિવાર સાથે સેમ્પલ મેચ થયા બાદ હવે લવીનાનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. પરિવારે ભારે હૈયા સાથે લવિનાના માનવ અંગોના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે સિદ્ધપુરવાસીઓ ફરી હચમચી ઉઠ્યા છે. કારણ કે, સિદ્ધપુરની પાણીની પાઇપલાઈનમાંથી ફરી માનવ અવશેષો નીકળ્યા છે.

સિદ્ધપુરના મહેતાઓળના મહાડ નજીક પાણીના પ્રેશર સાથે માનવ અવશેષો નીકળી આવ્યા હતા. સાંજના સમયે પાણી પ્રેશર સાથે પાણી છોડતાં માનવ અવશેષો બહાર આવ્યા હતા. જે જોઈને સ્થાનિકોમાં અરેરાટી થઈ ગઈ હતી. સ્થાનિક લોકોમાં પાલિકા સામે ભારે રોષ વ્યાપી ગયો હતો. પાણીની પાઇપ લાઈનો વ્યવસ્થિત સાફ સફાઈ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
રવિવારે સાંજે મહેતાઓળ વિસ્તારમાં સફાઈ કર્યા બાદ પાણી પ્રેશરથી છોડાતા શંકાસ્પદ માનવ ખોપડી જેવો ભાગ મળી આવ્યો હતો. આ બાદ સિદ્ધપુર પોલીસ દોડતી થઈ હતી. સિદ્ધપુર પી.એસ.આઇ લિમ્બાચીયાએ જણાવ્યુ હતુ કે બે અવશેષો મળી આવ્યા હતા. જેને હાલમાં સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર પાસે ઓળખ માટે લઇને આવ્યા છીએ. માનવ અવશેષ છે કે શેના તે હવે નક્કી થશે. આ અંગે એલ.સી.બી પી.આઇ ને જાણ કરીને તપાસ અર્થે બોલાવવામા આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પાણીની પાઈન લાઈનમાં મળેલી કોહવાયેલી અને ટુકડામાં મળેલી લાશ 25 વર્ષની યુવતી લવિના હરવાણીની હોવાની પુષ્ટિ થઈ છે. ડીએનએ ટેસ્ટમાં બાળકીના સેમ્પલ પરિવાર સાથે મેચ થયા. આ સાથે સવાલ એ ઊભો થયો છે કે લવીનાની ડેડબોડી પાઈનની પાઈપલાઈન સુધી કેવી રીતે પહોંચી? લવિનાનું મૃત્યુ કેવી રીતે થયું? શું તેની કોઈએ હત્યા કરી છે કે પછી તે આત્મહત્યા સાથે સંબંધિત છે. પાટણ પોલીસ આ પ્રશ્નોની તપાસ કરી રહી છે.


