બેન્કો સહિતની નાણાકીય સંસ્થાઓ દ્વારા બાકી લોનની વસુલાત માટે રીકવરીમેન દ્વારા કરાતી બળજબરી સામે ફરી એક વખત લાલ આંખ કરતા હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે લોન-ડિફોલ્ટર પાસેથી બળજબરીપૂર્વક વાહન જપ્ત કરવું એ બંધારણે બક્ષેલા જીવન અને આજીવિકાના અધિકારનો ભંગ ગણાશે અને તે માટે એફઆઈઆર દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરી શકાશે.

પટણા હાઈકોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું કે વાહન લોનમાં રીકવરી માટે સિકયોરાઈઝેશન પ્રક્રિયામાં બેન્કોને જે અધિકાર અપાયા છે તે મુજબ આગળ વધવું જોઈએ અને તે રીતે મોર્ટગેજ થયેલી મિલ્કત-વાહન વિ. પરત મેળવી શકાય છે અને તેમાં જીલ્લા વહીવટીતંત્રને સાથે રાખશે તેની હાજરીમાં સમગ્ર કાર્યવાહી થવી જોઈએ. પટણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાજીવ રંજનપ્રસાદની સિંગલ જજની ખંડપીઠે બેન્કો અને ફાયનાન્સ કંપનીઓને રીકવરી માટે કોઈ ગુંડા કે તેવા બળજબરી કરનારા રીકવરી એજન્ટોથી દૂર જ રહેવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત રાજયમાં પોલીસ વડાને પણ નિર્દેશ આપતા આ પ્રકારની રીકવરી પ્રક્રિયા માટે કડક હાથે કામ લેવા તાકીદ કરી હતી. હાઈકોર્ટે લોન-ડિફોલ્ટર પાસેથી બળજબરીપુર્વક વાહન પરત લેવામાં રૂા.50000નો દંડ બેન્ક પર કર્યો હતો. હાઈકોર્ટે આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટના 25 જેટલા ચૂકાદા પણ ટાંકયા હતા જેમાં જણાવાયું કે સરકારના નાક નીચેજ દેશના નાગરિકના બંધારણીય અધિકાર અને તેની આજીવિકા છીનવાતી હોય તો તે બંધારણની કલમ 21નો ભંગ ગણાશે.


