સમીના અમરાપુરાના યુવકને લગ્નના આગલા દિવસે છરીના ઘા ઝીંકી પતાવી દીધો!
સમીમાં યુવકનો લગ્ન પ્રસંગ માતમમાં પરિણમ્યોં, પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો
ગરવી તાકાત, સમી તા. 06- આજકાલ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેવામાં રાજ્યમાં વધુ એક ઘટનાએ અરેરાટી વ્યાપી દીધી છે. રાધનપુર શહેરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ છે, જેના કારણે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. જેના લગ્ન હતા એવા વિપુલ ઠાકોરની રાધનપુરમાં ધોળા દિવસે જાહેરમાં કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે. સમીના અમરાપુરના રહેવાસી વિપુલ ઠાકોરની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે. ધોળા દિવસે હત્યા થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે યુવકની લાશને પીએમ અર્થે રાઘનપુર રેફરલ હોસ્પિટલ ખસેડી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાધનપુર શહેરમાં સમીના અમરાપુર ગામના રહેવાસી વિપુલ ઠાકોરની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. રાધનપુર શહેરમાં જાહેરમાં હત્યા નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આવતીકાલે (રવિવાર) વિપુલ ઠાકોરના લગ્ન હતા, જેથી રાધનપુરમાં લગ્નની ખરીદી કરવા માટે આવ્યો હતો ત્યારે આ દુર્ભાગ્યવશ ઘટના બની હતી.
ધોળા દિવસે હત્યા કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતક વિપુલ ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, કયા કારણોસર હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી. લગ્નનો અવસર હવે માતમમાં ફેરવાઈ ગયો છે. મૃતક યુવકના પરિવારે ભારે આક્રંદ મચાવ્યું હતું.