મેરવાડા ગામના પુલની બંને સાઈડની પ્રોટેક્શન દીવાલના પોપડા ખરીને પડી રહ્યા છે
બનાસડેરી તેમજ વડગામ જવાનો પણ આ મુખ્ય માર્ગ હોવાથી પુલ પરથી ભારે વાહનો પસાર થાય છે
ગરવી તાકાત, અંબાજી, તા. 04 – પાલનપુર -અંબાજી હાઈવે પર મેરવાડા ગામ પાસે આવેલ સાંકડો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે તેની ઉપરથી રોજના હજારો વાહન પસાર થઈ રહ્યા છે, ત્યારે પુલની બંને સાઈડની પ્રોટેક્શન દીવાલના પોપડા ખરીને પડી રહ્યા છે. જેને લઈને મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો આ પુલનું તાત્કાલિક સમારકામ કરાય તેવી માંગ કરી રહ્યા છે.
પાલનપુર -અંબાજીના મુખ્ય હાઈવે પર મેરવાડા ગામ પાસે આવેલો પુલ જર્જરીત હાલતમાં છે ,જે પુલ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે આ માર્ગ પાલનપુર અને અંબાજીને જોડતો માર્ગ હોવાથી અને નેશનલ હાઈવે હોવાથી 24 કલાક વાહનોની અવરજવર રહે છે. તો દાંતા બાજુ કોરી ઉદ્યોગ અને નજીક બનાસડેરી તેમજ વડગામ જવાનો પણ આ મુખ્ય માર્ગ હોઈ આ પુલ પરથી ભારે વાહનોનું પણ વહન થાય છે. ત્યારે ભાદરવી પૂનમે પણ અહીંથી લાખો માઈ ભક્તો આ બ્રિજ પરથી પસાર થાય છે.
ત્યારે આ પુલ જર્જરિત થઈ જતા આની ઉપરથી વાહન ચલાવતા વાહન ચાલકો અને રાહદારી પણ ભય અનુભવે છે. વાહન પસાર થાય ત્યારે અકસ્માતના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. આ પુલની બંને સાઈડો જર્જરીત થઈ ગઈ હોવાથી તેમજ પુલ સાંકડો હોવાથી જો કોઈ વાહન પુલની સાઈડની દીવાલ સાથે જરાક અથડાય તો તે વાહન નીચે પડી શકે તેમ છે અને અનેક લોકોના જીવ જાય તેમ છે. જેથી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે આ પુલનું સમારકામ જલ્દી કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને કોઈનો જીવ ન જાય.