છેલ્લા બે વર્ષમાં ધારાસભ્યોનો પ્રોટોકોલ ન જળવાયો હોય તેવી ધારાસભ્યોની 13 ફરિયાદ
ફરિયાદ કરવામાં મૂખ્યત્વે સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ નહિં આપવા બાબતની છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 28- ગાંધીનગર: છેલ્લા બે વર્ષમાં ધારાસભ્યોનો પ્રોટોકોલ ન જળવાયો હોય તેવી ધારાસભ્યોની 13 ફરિયાદ સરકારને મળી છે. વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ આવી ફરિયાદો અંગે જે તે સ્થાનિક તંત્રને સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે. ફરિયાદ કરવામાં મૂખ્યત્વે સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ નહિં આપવા મુજબની છે. 
કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ધારાસભ્યોનો પ્રોટોકોલ જાળવવાની સરકારની સુચનાનો અમલ ન થયો હોય તેવી ફરિયાદો અને તે સંદર્ભે તંત્રએ શું પગલા લીધા તે અંગે સવાલ પૂછયો હતો.જેના લેખિત જવાબમાં પ્રોટોકોલ વિભાગે જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં ધારાસભ્યોનો પ્રોટોકોલ જાળવવા સૂચના અપાયેલી છે.છેલ્લા બે વર્ષમાં તત્કાલીન ધારાસભ્યોએ ફરીયાદ કરી છે.તેમાં પરેશ ધાનાણી, અશ્વિન કોટવાલ, જસુભાઈ પટેલ, વિરજી ઠુમ્મર, નૌશાદ સોલંકી, સુનિલ ગામીત, સુખરામ રાઠવા, કાળાભાઈ ડાભી, સંતોકબેન અરેઠીયા, પૂંજા વંશ અને કુંવરજી બાવળીયાનો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગરના કલેકટરને જાન્યુઆરી 2022 ના પત્રથી પ્રોટોકોલ વિભાગે તત્કાલીન ધારાસભ્ય નૌશાદ સોલંકીની ફરિયાદના આધારે કોઈપણ સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું માન જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી. ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે પણ તાકીદ કરાઈ હતી. મહિલા અને બાળવિકાસ વિભાગ-સચીવાલય તથા અરવલ્લીના કલેકટરને પણ અશ્વિન કોટવાલની ફરિયાદ બાદ ધારાસભ્યનો સરકારી પ્રોટોકોલ જાળવવા માટે સૂચના આપી હતી.આણંદ કલેકટર, અમરેલી કલેકટરને પણ આવી સૂચના સંબંધિત ફરિયાદને લઈને અપાઈ હતી.


