ગઝવા એ હિન્દ સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સાત સ્થળોએ દરોડા પાડયા
સુરત તા. 23 – રાષ્ટ્રીય ઈન્વેસ્ટીગેશન એજન્સી એનઆઈએએ આજે ગઝવા એ હિન્દ સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સાત સ્થળોએ દરોડા પાડયા છે અને અનેકની અટકાયત કરી છે. આ કટ્ટરવાદી સંગઠન દ્વારા યુવાનોને ઉશ્કેરીને તેઓને આતંકી સહિતની પ્રવૃતિ ભણી ધકેલવા માટે ખાનગી રાહે તાલીમ કેમ્પ સહિતની પ્રવૃતિઓ કરાઈ રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. 
આજે સવારે ગુજરાતમાં ત્રણ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ સંગઠનનું સાહિત્ય પણ કબ્જે કરવામાં આવ્યું છે. ખાસ કરીને મર્ગુગ અહેમદ ડેનીશ નામના આ સંગઠનનો એક ઓપરેટર કાશ્મીરમાં પણ સક્રીય હોવાનું માનવામાં આવે છે અને તે વોટસએપ ગ્રુપ મારફત અલગ અલગ લોકોને પોતાની કટ્ટરવાદી પ્રવૃતિમાં સામેલ કરતો હતો.
ગુજરાતમાં આ ટીમે બોટાદમાં રાણપુર પાસે વહેલી સવારે ઓપરેશન શરુ કર્યુ હતું અને વડીયા નામના એક શખ્સની વ્હેલી સવારે પુછપરછ શરુ કરી હતી અને બપોર સુધી તેને અનેક પ્રશ્નો પૂછયા બાદ સ્થાનિક પોલીસને સુપરત કરી દીધો હોવાનું મનાય છે. આ ઉપરાંત ગુજરાતમાં વાપી અને સુરત ખાતે પણ ટીમ પહોંચી હતી જયારે મધ્યપ્રદેશમાં ગ્વાલીયર અને મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે પણ તપાસ કરી હતી.


