મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા તેમની ટીમ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો
મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, બેંકોના કર્મીઓ, નાણાંકીય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં
વ્યાજના ખપ્પરમાં હોમાયેલા નાગરીકોએ મહેસાણા એસપી તથા પોલીસનો આભાર માન્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 04 – ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટેના અભિયાન અંતર્ગત બેંકો અને નાણાંકિય સંસ્થાઓના સાથેના સંકનલ દ્વારા મહેસાણા પોલીસની પ્રજાલક્ષી પહેલ અંતર્ગત લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન આજે શનિવારના રોજ સાંજે એડીટોરીયમ હોલ મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ તથા બેંકોના તેમજ નાણાંકિય સંસ્થાઓના કર્મચારી તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં વ્યાજખોરોના ખપ્પરમાં ફસાયેલા લોકોને ઉગારવા અને વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક લોકોને સ્થળ પર જ લોન આપવામાં આવી હતી જ્યારે કેટલાક નાગરીકોના સેટલમેન્ટ કરી તેમના ચેક અપાવવાની મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી તેમજ મહેસાણા પોલીસના અધ્યક્ષતામાં સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ અને વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઇને અનેક લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દઇ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેવાના તેમજ કેનાલો પડી મોતને વ્હાલુ કરી દેવાના અનેક કિસ્સાઓનું પ્રમાણ વધતાં તેની નોંધી લઇને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની પ્રજાને વ્યાજખોરોના વિષચક્રમાં બહાર કાઢવા માટે એક અનોખું અભિયાન હાથ ધર્યું હતું. 
જેમાં વ્યાજે લીધેલા નાણાં માટે આમ નાગરીકો પાસેથી અનેકઘણી વ્યાજવસૂલી અને પઠાણી ઉઘરાણી કરી મોત માટે મજબૂર કરનાર વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસતંત્રને આદેશો કરી આ અભિયાનને વેગવંતું બનાવી વ્યાજખોરોના ખપ્પરમાં હોમાયેલા નાગરીકોને બહાર કાઢવાનું અનોખુ અભિયાન આરંભી તમામ પોલીસ સ્ટેશનના જે તે જવાબદારી અધિકારી કર્મચારીઓને વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યાં હતા જેને પગલે તમામ પોલીસ સ્ટેશનમાં આ અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા વ્યાજના વિષચક્રમાં અટવાયેલા નાગરીકોને બહાર કાઢવા માટે સુવ્યવસ્થિત આયોજન કરી મહેસાણા પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના નાગરીકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે એક નવી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પમાં બેંકોના કર્મચારીઓ નાણાંકિય સંસ્થાના આગેવાનો, ધારાસભ્ય સહિત પોલીસ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ૧૯ જેટલા નાગરીકોને સ્થળ પર જ ૨૦ લાખ જેટલી લોન આપવામાં આવી હતી. 
જ્યારે અત્યારસુધી મહેસાણા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ રોકવા માટે ૧૪ વ્યાજખોરોની અટકાયત કરવામાં આવી છે તેમજ સાત વ્યાજખોરો સામે નામજાેગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોન ધિરાણ કેમ્પમાં નાગરીકો પાસે વ્યાજે પૈસા માંગતાં શખ્સોને સ્થળ પર બોલાવવામાં આવ્યાં હતા અને તેમને વ્યાજના પુરા નાણાં નહી પરંતુ મુડી મુડીનું સેટલમેન્ટ કરી આપવામાં આવ્યું હતું અને વ્યાજખોરોને આપેલા ચેક પણ નાગરીકોને પરત અપાવવાની સુંદર અને સરાહનીય કામગીરી કરવા બદલ હાજર મહેસાણા જિલ્લાના નાગરીકો જાણે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા પોલીસને આર્શિવાદ આપતાં હોય તેવી પ્રતિતિ સાથે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


