જમીન માપણીની ભૂલ સુધારા માટે હવે પાયલોટ પ્રોજેકટ
ક્ષતિ સુધારણાની કામગીરી ઝડપથી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો
ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – અગાઉ સરકાર દ્વારા કરાયેલી જમીન માપણીમાં અનેક ક્ષતિઓ જણાતા જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો હતો અને ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે પછી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી.
આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં પણ ખૂબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.
વર્ષ 2022માં તત્કાલીન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જમીન રિ-સર્વેની કામીગીરીમાં ક્ષતિઓ બાબતે ખેડૂતોમાંથી ઉઠતી રાવ અંગે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી, આ બાબતે ખેડૂતોને કઇ કઇ રાહત આપી શકાય તે બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ જમીન રિ-સર્વે અંગે જે પણ ખેડૂતોને વાંધા અરજી હોય તો અરજી કરવાના સમયગાળો લંબાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજીઓ કરી શકાશે તેવી જાહેરાત થઈ હતી. હવે આ સમય મર્યાદા પુરી થઈ હોવાથી સરકાર તાબડતોબ આ જમીન માપણી ક્ષતિ સુધારણા કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરશે.


