ગરવી તાકાત જામનગર : જામનગરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તોડફોડ કેસ મામલે આજે એક મહત્વપૂર્ણ સમાચાર છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જામનગરમાં તોડફોડના કેસમાં 14 આરોપીઓને આજે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ 14 આરોપીઓ સામે વાહન સળગાવવા બાબતે ગુનો નોંધાયો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ તોડફોડ કેસમાં 14 આરોપીઓને કોર્ટે નિર્દોષ છૂટકારો આપ્યો છે. ભાજપના નગરસેવક સહિત 14 યુવાનોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ભાજપના નગરસેવક અતુલ ભંડેરી પણ નિર્દોષ જાહેર કરાયા હોવાની માહિતી મળી છે. વકીલની કાયદાકીય દલીલોના આધારે કેસ લડત કરી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા છે.
પાટીદાર અનામત આંદોલન સંદર્ભે તારીખ 26/08/2015 ના ગુજરાત બંધનુ એલાન એલાન હોવાથી જામનગર શહેરના કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત 14 આરોપીઓ સામે વાહન સળગાવવા બાબતનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપીઓ વતી વકીલ નાથાલાલ ઘાડીયા, હિતેન અજુડીયા, હસમુખ મોલીયા, અર્પિત રૂપાપરા વગેરે રોકાયેલ હતા.
આ કેસની વિગત એવી છે કે, જામનગરના જી.આઈ.ડી.સી. ફેઈસ-2 અને 3 માં તથા બાયપાસ રોડ પરના જેટકો કચેરી તથા શ્રીજી કારખાના સામેના રોડ પર ગત્ તા. ર૬.૮.૧પ ના પાટીદાર આંદોલન અન્વયે કોર્પોરેટર અતુલ ભંડેરીની આગેવાની હેઠળ 14 માણસો તથા ચાર મોટરસાયકલના ચાલકો સહિતના 150 થી 200 માણસોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી દુકાનો બંધ કરાવવા માટે હિંસક બની મહાવીર કાસ્ટ કારખાનામાં તોડફોડ કરી જેટકોની કચેરીમાં ઘૂસી જઈ હાજર સ્ટાફને વીજપૂરવઠો બંધ કરવાની ધમકી આપી હતી.
બાદમાં પોલીસ કર્મચારી દ્વારા 14 આરોપીઓ સામે જામનગર સીટી–એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 143, 435 મુજબ ફરીયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, ફરિયાદના આધારે ચાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ જામનગરના મે. પાંચમા એડી. સીનીયર સીવીલ જજ એન. એન. પાથરની કોર્ટમાં ચાલી જતાં અદાલત દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.


