ગરવી તાકાત ખેરાલુ : ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામે રાત્રે ૩૦ ગામડાના ખેડૂતોએ એકઠા થઈને સિંચાઈના પાણીની સમસ્યા અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં પાણી નહિ તો વોટ નહીં જેવા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો. જયારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓના ૩૦ ગામમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીએ દસ્તક દીધી છે. દરેક રાજકીય પક્ષો પોતાની ચોપાટ બિછાવવાની તૈયારીો શરૃ કરી છે. તેવામાં ખેરાલુ તાલુકાના ૩૦ ગામડાના ખેડૂતોએ સિંચાઈના પાણીના મુદ્દે કોઈપણ રાજકીય નેતાઓને પોતાના ગામમાં પ્રવેશ ઉપર પ્રતિંબંધ કરવાનો નિર્ણય કરતા આવનારી ચૂંટણીમાં આ બેઠક ઉપર પોતાની વૈતરણી પાર કરવાની મહેચ્છા ધરાવતા નેતાઓની મુંઝવણમાં વધારો થયો છે.મંદ્રોપુર ગામે રાત્રીના સુમારે
મંદ્રોપુર, ફતેપુરા, વિઠોડા, પાન્છા, બળાદ, લુણવા, મંડાલી, મછાવા તેમજ આસપાસના ૩૦ જેટલા ગામના ખેડૂતોએ ભેગા મળી પાણીના પોકાર પાડયા હતા. મંદ્રોપુર ગામની ડેરી પાસે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહીને ચુંટણી ટાણે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા અપાતા ઠાલા વચનો સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, ફતેપુરા, વિઠોડા, પાન્છા, બળાદ, લુણવા, મંડાલી, મછાવા તેમજ આસપાસના ગામડાઓના તળાવો હાલ સુકાભઠ્ઠ જોવા મળે છે. સરકાર દ્વારા તળાવો ભરવા માટે કેટલાય સમયથી માત્ર લોલીપોપ અપાઈ રહી છે. આ પંથકના ખેડૂતોની સિંચાીના પાણીની સમસ્યા દૂર કરવા માટે ચમનાબાઈ સરોવર ભરવા તેમજ સુજલામ સુફલામ યોજનાની કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી.હાલ તો,સિંચાઈના પાણીના અભાવને કારણે ફતેપુરા આસપાસના ૩૦ જેટલા ગામની સીમમાં આવેલા ખેતરો સુકાભઠ બન્યા છે. જયારે પશુપાલકોને પાણી વિના પોતાના ઢોરનો ઉછેર કરવું પણ મુશ્કેલ બન્યું હોવાથી આ વિસ્તારમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ પંથકના તળાવોમાં પાણી નાખવામાં નહિ આવે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીંમકી ઉચ્ચારી હતી.
–પાણીના અભાવે ખેતી અને પશુપાલન દૂર્ભર
ખેરાલુ તાલુકાના ફતેપુરા સહિત આસપાસના ૩૦ જેટલા ગામોમાં ઘણા સમયથી સિંચાઈના પાણીની સમસ્યા સર્જાઈ છે.પાણીની અછતને કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં માત્ર ચોમાસુ સિઝનમાં વાવેતર કરી શકે છે.જેના લીધે બાકીના સમયમાં ખેતરો સુકાભઠ બની રહે છે.ઉપરાંત પાણીના અભાવે આ ગામડાઓમાં પશુપાલન કરતા લોકોને પણ પોતાના ઢોરના ઉછેર કરવામાં હાલાકી પડતી હોય છે.
— લોભામણી યોજનાઓનો લાભ જોઈતો નથીઃ ખેડૂતો
ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામમાં મળેલી ૩૦ ગામડાઓના ખેડૂતોની બેઠકમાં પાણીની અછતની સમસ્યા અંગે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.રાજકીય પક્ષોના નેતાઓ માટે નોએન્ટ્રી કરી અને તેમણે હવે રાજકીય ધરણાઓનો ભોગ બનવું નથી કે લોભામણી સ્કીમોનો લાભ જોઈતો નથી તેવા બેનરો લગાવી પોતાની નારાજગી ઠાલવી હતી.


