ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના ધોબીઘાટ નેળિયા વિસ્તાર અને વિસનગર રોડ વિસ્તારની 15થી વધુ સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં મકાનોની યોગ્ય અને વાજબી કિંમતો મળતી ન હોઇ નિભાવવાની રાજ્યની ફરજ હોઇ આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી સાથે શુક્રવારે રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં પાંચ વર્ષ પહેલાં અન્ય વિસ્તારમાં અશાંતધારા માટે કરાયેલી માંગણી અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો ન હોવાનો ઉલ્લેખ પણ કરાયો હતો.
શહેરના ધોબીઘાટ નેળિયા વિસ્તાર અને વિસનગર લીંક રોડ વિસ્તારના રહીશો દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સ્થાવર મિલકતની યોગ્ય અને વાજબી કિંમત મળી રહે તે જોવાની અને નિભાવવાની રાજ્યની ફરજ છે. ધોબીઘાટ નેળિયા વિસ્તાર, વિસનગર લીંક રોડ વિસ્તાર અને અન્ય વોર્ડની સ્થાવર મિલકતનું વેચાણ એવી રીતે વિધર્મીઓને થઇ રહ્યું છે કે જેથી અન્ય મિલકત ધારકો તે મિલકતના બંધારણીય અધિકાર મુજબ ઉપયોગ ઉપભોગ કરી શકતા નથી.
વર્ષ 2016માં કલ્પેશભાઇ વ્યાસ તેમજ વર્ષ 2017માં વિક્રમભાઇ વ્યાસ તથા અન્ય 21 સોસાયટીઓ મારફતે લેખિત માંગણી કરવા છતાં આજ સુધી કોઇ જ જવાબ મળ્યો નથી. અગાઉ આ અરજી, માંગણી બાબતે કોઇ વિચારણા કે તે અંગે જવાબ આપેલ ન હોઇ હાલ આવેદનપત્ર આપી રહ્યા છીએ.
રહીશોએ એમ પણ કહ્યું કે, આ વિસ્તારની 15 સોસાયટીમાં છેલ્લા 5 વર્ષમાં એકપણ હિન્દુનાં મકાન રહ્યાં નથી, સોસાયટી બની ત્યારે તમામ મકાન હિન્દુનાં હતાં. હવે અમને રક્ષણ આપો. દ્વારકાપુરી સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદનગર સોસાયટી, ઉમાનગર સોસાયટી, ગોલ્ડન બંગ્લોઝ, જયવિજય સોસાયટી, ન્યુ અંબિકાનગર સહિત 15 જેટલી સોસાયટીના રહીશો રજૂઆતમાં જોડાયા હતા.
અશાંતધારો લાગુ કરવાની માંગણી સાથે શહેરના ધોબીઘાટ નેળિયા વિસ્તાર અને વિસનગર રોડ વિસ્તારની 15થી વધુ સોસાયટીના રહીશો શુક્રવારે રેલી રૂપે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી.


