વિસનગર : વિસનગરના શુકન બંગ્લોઝમાં રહેતા રમીલાબેન પટેલ સાથે 45 લાખની છેતરપિંડી થઈ રમીલાબેન કડા ચોકડી પર આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરે ત્રણ વર્ષ પહેલા તેમની દુકાને વડનગર તાલુકાના વડબાર ગામના ઠાકોર સહદેવજી વિરસંગજી સાથે ઓળખાણ થઈ. સહદેવજીએ ઇન્ટરનેશનલ ટ્રેડ બિઝનેસનું પ્લેફ્લેટ બતાવી 15 લાખના રોકાણ પર સારા વળતરનું આશ્વાસન આપ્યું.
રમીલાબેને પ્રથમ તબક્કામાં તેમના નણદોઇ પરષોત્તમભાઇ પાસેથી 10 લાખ અને મોટાબેન રંજનબેન પાસેથી 5 લાખ મેળવી સહદેવજીને આપ્યા. સહદેવજીએ શરૂઆતમાં ગૂગલ-પે દ્વારા નફો ચૂકવ્યો. આનાથી રમીલાબેનનો વિશ્વાસ વધ્યો. ત્યારબાદ વધુ રોકાણની લાલચ આપતા રમીલાબેને વિવિધ સ્રોતમાંથી નાણાં એકત્ર કર્યા. તેમણે મોટાબેન ઇન્દુબેન પાસેથી 2.50 લાખ, નણદોઇ પરષોત્તમભાઇ પાસેથી 4 લાખ, ભાઇ અરવિંદભાઇ પાસેથી 8 લાખ મેળવ્યા.
વધુમાં, તેમના દિકરા અને પતિના સંયુક્ત ખાતામાંથી 10 લાખ અને પોતાના ખાતામાંથી 5.50 લાખ મળી કુલ 45 લાખ રૂપિયા સહદેવજીને આપ્યા. જ્યારે રમીલાબેને પૈસા પરત માંગ્યા, ત્યારે સહદેવજીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. છેતરાયા હોવાનો અહેસાસ થતાં રમીલાબેને વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં સહદેવજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


