ગરમીના પ્રકોપથી 200 ચામાચિડીયાના મોત, ફાયર બ્રિગેડે વડના ઝાડ પર પાણીની છટકાવ કર્યો
દહેગામના હિલોલમાં ગરમીના પ્રકોપથી વડના ઝાડે લટકતા 200 જેટલા ચામાચિડીયા મોતને ભેટ્યા, ફાયર બ્રિગેડે વડના ઝાડ ઉપર પાણીનો છંટકાવ કર્યો
ગરવી તાકાત, ગાંધીનગર તા. 22 – રાજ્યમાં ગરમીનો ગ્રાફ દિવસેને દિવસે સતત ઉંચે જઇ રહ્યો છે. કાળઝાળ ગરમી અને હિટ વેવનાં કારણે માણસ તો ઠીક પણ જીવસૃષ્ટિના પશુપક્ષીઓને પણ તોબા પોકારી ઉઠયા છે. એવામાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામમાં ગરમીના પ્રકોપથી 200 જેટલા ચામાચિડીયા વડના ઝાડ ઉપરથી ટપોટપ નીચે પટકાઈને મોતને ભેટયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં અમદાવાદના જીવદયા પ્રેમીઓએ અન્ય ચામાચિડીયાઓને ગરમીથી રાહત અપાવવા દહેગામ ફાયર બ્રિગેડની મદદથી વડના ઝાડ ઉપર પાણીનો છંટકાવ પણ કરાવ્યો હતો.

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તાપમાનનો પારો 45 ને પાર જતા હીટવેવની અસરને કારણે સંખ્યાબંધ લોકોની તબીયત બગડી રહી છે. હીટવેવને કારણે તંત્ર દ્વારા કામ વિના ઘરેથી બહાર ન નીકળવાની લોકોને સલાહ પણ આપવામાં આવી છે. આ વર્ષે રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ખૂબ ઝડપથી તાપમાન વધી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં પણ છેલ્લા ચારેક દિવસથી તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. આગામી ત્રણ દિવસ ગરમી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગ ધ્વારા સંભાવના વ્યક્ત કરાતાં ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
એવામાં છેલ્લા બે દિવસમાં ગરમીના કારણે દહેગામના હિલોલ ગામના પરા વિસ્તારમાં આવેલ વિશાળ વડના ઝાડ ઉપરથી ટપોટપ નીચે પટકાઈને 200 જેટલા ચામાચિડિયાનાં નિપજ્યાં છે. આ ઘટનાની જાણ થતા અમદાવાદના જીવદયાપ્રેમી ગ્રુપના સભ્યો હિલોલમાં દોડી આવ્યા હતા. દહેગામ ફાયર બ્રીગેડની મદદથી ઝાડ ઉપર પાણીનો છંટકાવ કરીને જીવિત પક્ષીઓને ગરમીમાં રાહત પહોંચાડવામાં આવી હતી.
45 ડીગ્રી ગરમીના હિટવેવમાં હિટસ્ટ્રોકની અસરથી પક્ષીઓ મોતને ભેટયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. દહેગામના હિલોલ ગામમાં આવેલા શિવપુરામાં રોડની નજીકમાં તોતીંગ વડનુ ઝાડ આવેલુ છે. અહીં સેંકડો ચામાચીડિયાના ટોળેટોળા વસવાટ કરે છે. માત્ર રાત્રે જ જોઇ શકતા ચામાચીડિયા દિવસે ઝાડની ડાળીઓ ઉપર ઉંધા માથે લટકી રહેતા હોય છે.જો કે બે દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીનો ભોગ ચામાચિડિયાનું ઝૂંડ બન્યું છે. જેનાં લીધે ચામાચિડિયા ટપોટપ નીચે પડીને મોતને ભેટયા છે. આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઉપરોકત જગ્યાએ 200 જેટલા ચામાચિડિયાનાં ગરમીના પ્રકોપથી મોત થયાં હતાં. જે અંગે અમદાવાદની પારેવડા ગ્રુપ નામનાં જીવદયા પ્રેમીઓએ જાણ કરતા સ્થળ ઉપર પહોંચી વડના ઝાડ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


