15 હજાર આઈ.સી.યુ અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ તૈયાર
10899 ઓકિસજન કોન્સ્ટે્રટર મશીન અને 476 પી.એસ.એ.પ્લાન્ટ પણ કાર્યરત
કોરોનાની પરિસ્થિતિઓની સજ્જતા અર્થેની મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સહભાગી બન્યા
ગરવી તાકાત, ગાંધીનગર,તા.10 – વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે 10 અને 11 મી એપ્રિલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે કોરોના સામેની સજ્જતાની ચકાસણી અર્થેની મોકડ્રીલમાં સહભાગી બન્યા હતા. એટલું જ નહીં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઇ.સી.યુ માં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન ક્ધસન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર જઇને જાત નિરીક્ષણ કરીને સમગ્રતયા પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો. 
આરોગ્યમંત્રીએ આ મુલાકાતને પગલે કોરોના સામેની તૈયારીઓ માટેના કેટલાક જરૂરી સૂચનો પણ સંલગ્ન અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને કર્યા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તારીખ 10 અને 11 એ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.આ મોકડ્રીલમાં કોરોના સામેની સજ્જતાની ચકાસણી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ બે દિવસ દરમિયાન રાજ્યના ગ્રામ્ય સ્તરે આરોગ્ય કેન્દ્રો ઉપરાંત રાજ્યની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજાશે.
હાલ રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 3 હજાર થી વધુ બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 15 હજાર જેટલા આઇ.સી.યુ. અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પી.એસ.એ. પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19 માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર જેટલી છે.
આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે. આ મોકડ્રીલમાં ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

