વડનગરમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ, એકસાથે 400 વ્યક્તિ નિહાળી શકશે
પ્રવાસીઓ 2800 વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે
આ મ્યુઝિયમમાં ખોદકામ દરિયાન મળી આવેલા પ્રાચીન અવશેષોને રાખવામાં આવશે
વડનગર સહિત દેશને 21 મીટર ઊંચા અને 326 પિલર પર ઉભા થનારા એશિયાના પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ
ગરવી તાકાત, વડનગર તા. 28 – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર ઐતિહાસિક નગરી તરીકે આખી દુનિયામાં જાણીતું છે. ત્યારે હવે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહયું છે. વાત વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની છે. આ એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. જેમાં આવીને પ્રવાસીઓ 2800 વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે.
આ મ્યુઝિયમની કામગીરી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. વડનગર શહેર સાત કાળનું સાક્ષી રહ્યું છે. એટલે આ મ્યુઝિયમમાં ખોદકામ દરિયાન મળી આવેલા પ્રાચીન અવશેષોને રાખવામાં આવશે. ખોદકામ દરમિયાન મળેલા સાત કાળના જુદા-જુદા પૌરાણિક અવશેષોને અલગ-અલગ ફ્લોર પર રાખવામાં આવશે.
વડનગર સહિત દેશને 21 મીટર ઊંચા અને 326 પિલર પર ઉભા થનારા એશિયાના પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. અમરથોળ દરવાજા નજીક 13525 સ્કેવર ફૂટ એરિયામાં કરોડોના ખર્ચે બનનારા મ્યૂઝિયમમાં 250 ટન લોખંડ વપરાશે. અહીં કારીગરો રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.
2800 વર્ષના ઇતિહાસનો અનુભવ કરાવશે – વડનગરના 2800 વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી આ મ્યુઝિયમ કરાવશે. આ નગરીમાં એક યા બીજાનો વસવાટ રહ્યો છે, ક્યારેય ધ્વંસ થયો નથી એટલે પ્રાચીનકાળથી અત્યાર સુધીની જીવનઝાંખીને આવરી લેવાશે. આ ઉપરાંત વડનગરમાંથી નીકળેલા પ્રાચીન અવશેષો અહીં સંગ્રહિત કરાશે. જ્યાં પર્યટકો નિહાળી શકશે.