— ગૃહ વિભાગના અધિકારીઓ સાથે IPS ટ્રાન્સફર અંગે ચર્ચા કરી રહેલા ગૃહ રાજ્યમંત્રી તથા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને ઈન્સેટમાં રાજુ ભાર્ગવ
ગરવી તાકાત અમદાવાદ: કમિશન’ર કાંડમાં સંડોવાયેલા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી થતા જ 24 કલાકમાં અન્ય IPS અધિકારીઓની બદલીનો દૌર શરૂ શરૂ થવાની ઘડીઓ ગણાવા લાગી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ બેઠક પણ બોલાવી હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા ગૃહ સચિવ નિપુણા તોરવણે સહિતના અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં બદલીઓની ફાઈલો પણ તૈયાર કરી દેવામાં આવી છે. તેમજ ગૃહ ખાતાના સૂત્રો મુજબ રાજકોટના નવા પોલીસ કમિશનર તરી કે રાજુ ભાર્ગવનું નામ નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
— અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનરની પણ બદલી થશે
ગુજરાતમાં IPS અધિકારીના બદલીઓની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે હવે ગમે ત્યારે IPS અધિકારીની બદલીઓ આવી શકે છે. જેમાં અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરની બદલી પણ નિશ્ચિત હોવાનું ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. તેની સાથે સાથે રેન્જ આઈજીઓની પણ બદલી થવાની છે. જે અંગે તૈયારીઓ થઈ ગઈ છે.
— કમિશન’ર કાંડને કારણે IPSની બદલીઓ અટકી હતી
રાજકોટ (દક્ષિણ)ના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોમ્બ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર સરકારે તવાઈ બોલાવી છે અને સજાના ભાગરૂપે જૂનાગઢ બદલી પણ કરી દેવામાં આવી છે. જોકે હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ? આ માટે ગાંધીનગરમાં ગૃહ વિભાગની મિટિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં રાજ્યના અન્ય IPS અધિકારીઓની બદલીનો પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
— રાજકોટ CP તરીકે સુભાષ ત્રિવેદી, નરસિમ્હા કોમર અને આર.પાંડિયન પણ રેસમાં
આ બેઠકમાં આશરે 70 જેટલા IPS અધિકારીઓની બદલી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આથી પોલીસ બેડામાં મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટના નવા CP તરીકે રાજુ ભાર્ગવ, સુભાષ ત્રિવેદી, નરસિમ્હા કોમર અને આર.પાંડિયનનું નામ મોખરે હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને લીધે રાજ્યના IPS અધિકારીઓનો બદલીઓ પાછી ઠેલાઈ હતી અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોને ક્યાં મૂકવા તેને લઈ અવઢવ હોવાથી બદલીઓ અટકાવી દીધી હતી. પરંતુ હવે ગૃહ વિભાગ એક્ટિવ થઈ ગયું છે અને સમગ્ર ગુજરાતની IPS લોબીમાં બદલીનો દોર ગણતરીની કલાકમાં શરૂ થઈ ગયો છે.
— અમદાવાદ પોલીસ કમિશનરને ACBમાં સંપૂર્ણ હવાલો મળી શકે
અમદાવાદ પોલીસ કમિશનરને ACBમાં સંપૂર્ણ હવાલો આપવામાં આવી શકે. જ્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમરના શિરે અમદાવાદ પોલીસ કમિશનરનો તાજ પહેરાવવામાં આવશે. આ બધાની સાથે રાજકોટ પોલીસ કમિશનર, ગાંધીનગર, વડોદરા, બોર્ડર રેન્જ અને સુરત રેન્જમાં પણ પહેલા તબક્કામાં બદલી કરી દેવામાં આવશે તે નક્કી થઈ ગયું છે.
— ગોવિંદ પટેલનો લેટરબોમ્બ 5 ફેબ્રુઆરીએ મીડિયા સમક્ષ આવ્યો હતો
5 ફેબ્રુઆરીના રોજ રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલો પત્ર મીડિયા સમક્ષ આવ્યો હતો. જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું હતું કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી રકમ ઉઘરાવી હતી.
— 15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશ સખિયાએ કર્યો હતો
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો.
— CP પર 75 લાખની તોડ કર્યાનો MLAએ આરોપ લગાવ્યો હતો
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખની તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાધ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ધામા નાંખીને તપાસ હાથ ધરી હતી.