ગરવી તાકાત,ગાંધીનગર
ખેડૂતોને વધુને વધુ આર્થિક સમૃદ્ધ કરવાના હેતુસર રાજ્યભરમાં “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું આજે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઇ-લોકાર્પણ કરાવ્યું હતું. આ “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત આજે દિવસ દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લાના 80 કેન્દ્રો ઉપર અંદાજે 1.25 લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે અમારી સરકારે હંમેશા ખેડૂતોના પડખે રહીને અનેક ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓની સહાય આપી છે. કોરોના મહામારી વચ્ચે પણ આપણે સાવચેતી સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્ર “જાન ભી હૈ જહાન ભી હૈ”ને સાકાર કરવા ગુજરાતની વિકાસયાત્રા વધારી રહ્યા છે. ગુજરાતમાં ધંધા, રોજગાર, ઉદ્યોગ સહિતનું જનજીવન પુન: ધબકતું કરી રહ્યા છીએ.
મુખ્યમંત્રી કહ્યું હતું કે, આ વર્ષે રાજ્યના તમામ તાલુકામાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે. જ્યાં વધુ વરસાદ પડ્યો છે તેવા તાલુકામાં ઝડપી સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાનુ કામ કરી રહ્યા છીયે.
આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યુ હતુ કે ખેડુતોએ પાતાના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 30,000 સુધીની સબસિડી આપવામાં આવશે. જ્યારે ખેડૂતોની કૃષિ ઉપજ બજારમાં વેચવા જવા માટે કિસાન પરિવહન યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત નાના વાહનો ખરીદવા રૂ. 50,000 હજાર થી 75,000 હજારની સહાય આપવામાં આવશે. જેમાં ટાટા,લેલેન્ડ,મારૂતી સુઝુકી જેવી મલ્ટીનેશનલ કંપનીના વાહનો આપવામાં આવશે, આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક અને જૈવિક ખેતી માટે માસિક રૂ. 900ની સહાય પણ કરવામાં આવશે. જેમાં 1 લાખથી વધુ ખેડુતોને લાભ મળશે.